ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2026ના સાંજે 5 વાગ્યા સુધી જાહેર થયેલા આંકડાઓએ રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા છે. રાજ્યની કુલ 9980 બેઠકોમાંથી અત્યાર સુધીમાં 8696 બેઠકોના પરિણામો સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ 6442 બેઠકો પર ભગવો લહેરાવીને વિપક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. બીજી તરફ, મુખ્ય વિપક્ષ કોંગ્રેસ માત્ર 1603 બેઠકો પર સમેટાઈ ગઈ છે.

આ પ્રચંડ વિજય પાછળ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની રણનીતિ સૌથી મોટું કારણ માનવામાં આવે છે. તેમણે પરંપરાગત પ્રચારને બદલે ડેટા અને પર્સનલ કનેક્ટ પર ભાર મૂક્યો હતો. તેમણે 1.05 લાખ ગ્રુપ મિટિંગ અને 30 હજાર સામાજિક બેઠકો દ્વારા દરેક મતદાર સુધી પહોંચવાનો લક્ષ્યાંક રાખ્યો હતો. તથા દરેક એરિયા મુજબ વિકાસના કામોના રિપોર્ટ કાર્ડ આપીને જનતાનો વિશ્વાસ જીત્યો હતો અને તમામ જ્ઞાતિ અને સંગઠનોને ભાજપની વિચારધારા સાથે જોડીને વોટિંગ પેટર્ન જ બદલી નાખી.
માત્ર શહેરોમાં જ નહીં, પણ તાલુકા અને જિલ્લા પંચાયતોમાં પણ ભાજપે મજબૂત બૂથ મેનેજમેન્ટના જોરે લીડ મેળવી છે. વિરોધ પક્ષો જ્યારે રણનીતિ બનાવવામાં વ્યસ્ત હતા, ત્યારે ભાજપના કાર્યકર્તાઓ પેજ સમિતિ દ્વારા દરેક ઘર સુધી પહોંચી ગયા હતા. આ પરિણામોએ સાબિત કર્યું છે કે ગુજરાતમાં ભાજપનો ગઢ તોડવો અત્યારે અશક્ય જેવું છે.


