ઇરાન હવે અમેરિકા સામેના યુદ્ધને યુરોપ સુધી લઈ જવાનું ખોફનાક આયોજન તૈયાર કરી રહ્યુ છે. ઇરાન અમેરિકા પર એવો બરોબરનો પ્રહાર કરવાની તૈયારીમાં લાગી ગયું છે કે તે મધ્યપૂર્વની દિશા જ ભૂલી જાય. ઇરાન અમેરિકા સાથે આર પાર કરવાના મિજાજમાં છે. જો ટ્રમ્પ હજી પણ યુદ્ધ વધારશે તો ઇરાન મધ્યપૂર્વથી આગળ વધીને યુરોપમાં અમેરિકાના લશ્કરી થાણા પર હુમલા કરશે.
ઇરાને આ યુદ્ધને અત્યાર સુધીમાં ફક્ત મધ્યપૂર્વ સુધી જ સીમિત રાખ્યું હતું. અમેરિકન હુમલાનો જવાબ ઇરાન દુબઈ, કુવૈત જેવા સ્થળો પર હુમલા કરીને આપતું હતું, પરંતુ ઇરાન હવે આ યુદ્ધને ફક્ત મધ્યપૂર્વ પૂરતુ મર્યાદિત ન રાખતા યુરોપ સુધી લઈ જવા પર ગંભીર રીતે વિચારી રહ્યુ છે અને તેની તૈયારીમાં પણ લાગી ગયું છે.
ઇરાનની સરકારના બે નજીકના લોકોને ટાંકીને બ્રિટિશ અખબારે જણાવ્યું હતું કે ઇરાનનું લશ્કર દક્ષિણ-પૂર્વી યુરોપના દેશોમાં અમેરિકના લશ્કરના કેન્દ્રો પર હુમલા કરી શકે છે. તેમા બલ્ગેરિયાનો પણ સમાવેશ થાય છે. બલ્ગેરિયાએ ગયા મહિને જ અમેરિકાના રીફ્યુલિંગ એરક્રાફ્ટ માટે પોતાના બેજમર એરબેઝનો ઉપયોગ કરવા મંજૂરી આપી હતી.
એક સૂત્ર મુજબ સાઇપ્રસને પણ અમેરિકાના નવા હુમલાની સ્થિતિમાં ઇરાનનું સંભવિત લક્ષ્યાંક માનવામાં આવી રહ્યું છે. સાઇપ્રસમાં માર્ચમાં એક બ્રિટિશ એરબેઝ પર ડ્રોનથી હુમલો થયો હતો. અહેવાલમાં કહેવાયું છે કે ઇરાનના લશ્કરે અલગથી હોર્મુઝની ખાડીમાં નીચે ફાઇબર ઓપ્ટિક કેબલને નિશાન બનાવવાની સંભાવનાની ચકાસણી કરી છે. એક સૂત્રએ જણાવ્યું હતું કે જો ટ્રમ્પ ઇરાની ઇન્ફ્રાસ્ટ્રકચર પર હુમલો કરવાની ધમકીઓ પર કાયમ રહે છે તો ઇરાન યુદ્ધમા વધુ આગળ આકરી કાર્યવાહી કરવાના અકલ્પનીય વિકલ્પો તૈયાર કરી રહ્યું છે.તેમા યુરોપમાં હુમલો કરવો તે મહત્ત્વનો વિકલ્પ છે.

બીજી બાજુએ ઇરાનના મિસાઇલ હુમલાથી કંટાળેલા યુએઈએ તેની સાથેના બધા જ વ્યાપારિક સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી છે. આ ઇરાન માટે મોટો ફટકો માનવામાં આવે છે. આ પગલાંના લીધે ઇરાન મધ્યપૂર્વમાં એકલું અટુલુ પડી જાય તેમ માનવામાં આવે છે. મંગળવારે યુએઈ પર ઇરાન દ્વારા વધુ બે મિસાઇલ છોડવામાં આવ્યા હતા, તેના પગલે યુએઈએ જણાવ્યું હતું કે હવે તેમની ધીરજનો અંત આવી ગયો છે. એક સમયના મહત્ત્વના વ્યાપારિક ભાગીદાર ઇરાન અને યુએઈના વ્યાપારી સંબંધો હવે ખતમ થઈ ગયા છે. એક સમયે યુએઈ ઇરાનમાંથી ૨૧ અબજ ડોલરની આયાત કરતું હતું. ઇરાનને હવે અમેરિકા વ્યાપારીક ધોરણે પણ એકલું અટુલુ પાડવાનું આયોજન ધરાવે છે.
જ્યારે ઇરાનનો દાવો છે કે તેણે કોઈ મિસાઇલ છોડયા નથી. યુદ્ધ દરમિયાન ઇરાને યુએઈ, કુવૈત પર સંખ્યાબંધ ડ્રોન હુમલા કર્યા હતા અને આ હુમલા અમેરિકાના થાણા પર કર્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ તેના હુમલાએ યુએઈ અને સાઉદી અરેબિયાની કમર તોડી નાખી છે. તેમનું રિયલ્ટી માર્કેટ અને ટુરિઝમ બંધુ ધ્વસ્ત થઈ ગયુ છે. એક સમયે વિશ્વના સૌથી સલામત મનાતા અબુધાબી અને દુબઈ આજે સૌથી અસલામત ગણાય છે.
ઇઝરાયેલે ગાઝામાં જારી રાખેલા અવિરત હુમલામાં સાતના મોત થયા છે. તેમા એક બાળક સહિત સાતના મોત થયા છે, એમ શિફા હોસ્પિટલે જણાવ્યું હતું. ઇઝરાયેલના લશ્કરે જણાવ્યું હતું કે તેઓએ શાતિ વિસ્તારમાં હમાસના કમાન્ડરને ધ્યાનમાં રાખીને હુમલો કર્યો હતો, જે ઇઝરાયેલ પર હુમલો કરવાનંય આયોજન કરી રહ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે યુદ્ધવિરામ પછી પણ ઇઝરાયેલના જારી રહેલા છ હુમલામાં ૧,૨૬૬ પેલેસ્ટાઇનીઓના મોત થયા છે.


