ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષ પહેલા મે મહિનામાં શિક્ષકો નિવૃત થયા છે, ત્યારે અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખીને શહેરની શાળાઓમાં શિક્ષકોની ઘટ પૂરી કરવાની માગ કરી છે. હાલ શાળામાં વેકેશન ચાલી રહ્યું છે. આમ શાળા શરૂ થાય તે પહેલા જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવે તેવી શાળા સંચાલકોએ માગ કરી હતી. જેમાં અમદાવાદમાં 800થી વધુ શિક્ષકો-આચાર્યની ઘટ હોવાનું સામે આવ્યું છે.
નવા શૈક્ષણિક વર્ષમાં શાળામાં પૂરતા શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓને કઈ રીતે શિક્ષણ પૂરું પડાશે તેવા સવાલો ઊભા થયા છે. અમદાવાદ શહેર શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર કરીને રજૂઆત કરી હતી કે, 31મેના રોજ શિક્ષકો નિવૃત થતાં નવા શૈક્ષણિક વર્ષમાં મુશ્કેલી ઊભી થાય એમ છે. જ્યારે હાલ રાજ્યભરમાં 4000થી વધુ શિક્ષકોની સંખ્યા ખાલી જણાય છે.
જ્યારે અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ શાળાઓમાં 80 આચાર્ય અને 800 શિક્ષકોની ઘટ છે. આમ નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત પહેલા જિલ્લા કક્ષાએ કેમ્પ રાખીને જ્ઞાન સહાયકોને તાત્કાલિક ધોરણે શાળા ફાળવવામાં આવે તેવી માગ કરી હતી.