અમદાવાદના વસ્ત્રાલમાં પરિવાર સાથે રહેતી પરિણીતાની તેના જ ઘરમાં જૂના પાડોશીએ હત્યા નીપજાવી હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે. આરોપી યુવક પરિણીતાને મળવા માટે અને વાતચીત માટે દબાણ કરતો હતો, પરંતુ પરિણીતાએ મળવા જવાનો ઈનકાર કરી દેતાં મંગળવારે છરી સાથે પરિણીતાના ઘરે આવ્યો હતો અને હુમલો કરી દીધો હતો. માતાને લોહીલુહાણ હાલતમાં જોઈ મૃતકની પુત્રીએ તેના પિતાને ફોન કરતાં પિતા દોડી આવ્યા હતા અને 108ને જાણ કરી હતી, પરંતુ આરોપીએ છરીના ઘા ક્રૂરતાપૂર્વક માર્યા હોવાના કારણે પેટમાંથી આંતરડું બહાર આવી જતાં મોત નીપજ્યું હતું. આરોપી ગુનાને અંજામ આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ જતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી આઠ વર્ષથી પરિણીતાને પરેશાન કરતો હોવાનું અને તેના કારણે પરિણીતા અને તેના પરિવારે બે વાર મકાન બદલવા પડ્યાં હોવાની વિગતો પણ સામે આવી છે.
વસ્ત્રાલની હર ભોળેનાથ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતભાઈ મંગળવારે( 27 મે)ના રોજ તેમના કામધંધા ઉપર ગયા હતા ત્યારે સાંજે તેની પત્ની અંકિતાનો તેમના પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે અશોક પટેલ તેને ફોન પર ફોન કરે છે અને મળવા માટે બોલાવે છે. તેણે મળવાની ના પાડી તો અશોક બાઈક લઈને તેના ઘરની આસપાસ આંટાફેરા મારે છે. મને બહુ બીક લાગે છે કે તેની દુકાન ઉપર આવે છે એવું કહ્યું ત્યારે ચંદ્રકાંતભાઈએ કહ્યું કે તું ડરીશ નહીં, હું હમણાં ઘરે આવું છું, એમ કહીને ફોન મૂકી દીધો.
રાતના સમયે ચંદ્રકાંતભાઈને તેમના પાડોશીનો ફોન આવ્યો અને કહ્યું કે તમારા ઘરે અશોક તેની પત્નીને છરી મારીને જતો રહ્યો છે, જેથી તેઓ તાત્કાલિક ઘરે જવા નીકળ્યા. તેમની દીકરીનો પણ ફોન આવ્યો હતો કે પપ્પા, તમે જલદી ઘરે આવો, અશોક પટેલ આપણા ઘરે આવેલો અને મમ્મીને છરી મારી છે, તેથી ફટાફટ ઘરે આવ્યા ત્યારે તેમના ઘર આસપાસ બધા ભેગા થયેલા હતા. તેમણે ઘરમાં જઈને જોયું તો ઘરના બેઠક રૂમની બાજુમાં રૂમમાં તેમની પત્ની લોહીલુહાણ હાલતમાં પડેલી હતી અને તેનો શ્વાસ ચાલુ હતો. તેમની પત્નીના પેટના ભાગેથી આંતરડું બહાર આવી ગયું હતું અને ડાબા હાથની કલાઈ ઉપર તથા ઉપર નીચે મળીને કુલ છ છરીના ઘા વાગ્યા હતા અને લોહી નીકળતું હતું. આ દરમિયાન 108 અને પોલીસને જાણ કરી હતી.
ચંદ્રકાંતભાઈની માતાએ તેમને જણાવ્યું હતું કે રાતના 8 વાગ્યે ઘરની બહાર ખાટલામાં સૂતા હતા ત્યારે અશોક ઘરમાં આવ્યો હતો અને ઘરની બહાર એક વ્યક્તિ બાઈક ચાલુ રાખીને ઊભી હતી. આ વખતે અશોક હાથમાં ચપ્પુ લઈને આવ્યો હતો અને સીધો ઘરમાં જતો રહ્યો હતો. ઘરમાં જઈને તેણે રસોઈ કરતી અંકિતા સાથે ઝઘડો કર્યો અને ત્યાર બાદ ચપ્પુ વડે તેને પેટમાં અને શરીરને ઘા માર્યા હતા. છરી મારીને અશોક બહાર ઊભેલા બાઇકચાલક પાછળ બેસીને ભાગી ગયો હતો. અંકિતાનું મોત થયું હતું. આ અંગે અશોક પટેલ અને તેની સાથે આવેલા બાઇકચાલક વિરુદ્ધ ચંદ્રકાંતભાઈએ ફરિયાદ નોંધાવતાં રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે.
વસ્ત્રાલમાં હર ભોળાનાથ સોસાયટીમાં રહેતા ચંદ્રકાંત પ્રજાપતિએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ તેની પત્ની અંકિતા અને 14 વર્ષની દીકરી તથા 7 વર્ષના દીકરા સાથે રહે છે. તેઓ ટૂ-વ્હીલરનું ગેરેજ ધરાવી ધંધો કરે છે. અગાઉ તેઓ ઉત્સવ સિટી ફ્લેટમાં રહેતા હતા. ત્યાં બાજુના બ્લોકમાં રહેતા અશોક પટેલ સાથે તેમની ઓળખાણ થઈ હતી. અશોક પટેલ સાથે મિત્રતા થતાં તેઓ બંને એકબીજાને અવારનવાર ફ્લેટની નીચે મળતા હતા. ત્યાર બાદ અશોક કોઈના કોઈ બહાને તેમના ઘરે આવતો જતો હતો. વર્ષ 2017માં ચંદ્રકાંતભાઈ ઘરે આવ્યા ત્યારે ઘરનો દરવાજો ખુલ્લો હતો અને તેઓ તેની પત્નીના બેડરૂમમાં ગયા ત્યારે પત્ની સૂતાં સૂતાં મોબાઇલ ફોનથી કોઈની સાથે વાતચીત કરી રહી હતા, જોકે ચંદ્રકાંતભાઈએ પત્નીને મોબાઇલ પણ આપ્યો નહોતો ત્યારે મોબાઈલ ક્યાંથી આવ્યો, તેમણે એ સવાલ પત્નીને કર્યો અને મોબાઈલ લઈને કોની સાથે વાત કરી રહી હતી એ તપાસ કરી. તેની પત્ની અંકિતા અશોક સાથે ફોન પર વાતચીત કરી રહી હતી. આ ફોન પણ તેને અશોકે લઈ આપ્યો હોવાનું તેની પત્નીએ જણાવ્યું હતું.
અંકિતાએ ચંદ્રકાંતભાઈને જણાવ્યું હતું કે તેને અશોક સાથે વાત કરવી નથી, પરંતુ અશોક જબરદસ્તી ફોન આપી ગયો હતો અને હેરાન કરતો હતો, તેથી તે હેરાન ના કરે એ માટે તે તેની સાથે ફોન પર વાતચીત કરતી હતી. ચંદ્રકાંતભાઈએ તે ફોન લઈ લીધો તેઓ ગેરેજ પર જતા રહ્યા હતા ત્યારે અશોકનો ફોન આવ્યો હતો. તેમણે અશોક સાથે બોલાચાલી કરી હતી. ત્યાર બાદ અશોકે તેમની સાથે ગેરેજ પર આવીને મારામારી કરી હતી. આ દરમિયાન ચંદ્રકાંતભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી.
વર્ષ 2018માં અશોક પટેલથી કંટાળીને ચંદ્રકાંતભાઈ ફ્લેટ વેચીને ત્રિલોક પાર્ક ખાતે ભાડેથી રહેવા ગયા હતા. ત્યાં પણ રહેવા ગયા ત્યારે તેમના રૂમમાં ફોન ચાર્જિંગમાં પડ્યો હતો. આ ફોન પણ અશોક પટેલે લઈ આપ્યો હોવાની તેમને જાણ થઈ હતી. તેથી એ દિવસે પણ તેઓ ફોન લઈને સાથે ગયા હતા. આ દરમિયાન અશોક પટેલ તેમના મકાન આગળ આંટાફેરા કરી રહ્યો હતો. આ અંગે તેમના મકાનમાલિકને ખબર પડતાં તેમણે મકાન ખાલી કરવા પણ કહ્યું હતું. ત્યારે ચંદ્રકાંતભાઈએ અંકિતાને કહ્યું હતું કે અશોક સાથે શા માટે વાત કરે છે, ત્યારે તેણે કહ્યું હતું કે અશોક તેની સાથે વાત કરવા દબાણ કરે છે. ચંદ્રકાંતભાઈએ ગમે તે થાય, પરંતુ સાથે વાત ન કરવી એવું સમજાવ્યું હતુ. એ સમયે અંકિતા સહમત થઈ ગઈ હતી. બે મહિના જેટલો સમય ત્યાં રહ્યા બાદ ચંદ્રકાંતભાઈએ ભોળાનાથ સોસાયટીમાં પોતાનું મકાન ખરીદી લીધું હતું. આ મકાનમાં રહેવા આવ્યા બાદ પણ અશોક પટેલ અવારનવાર તેમના ઘરની આગળ આંટા મારતો હતો અને તેની પત્નીને મળવા માટે દબાણ કરતો હતો. તેની પત્ની મળવા ના જાય તો છોકરાછોકરીને ઉપાડી જઈ મારી નાખવાની ધમકીઓ આપી સંબંધ રાખવા પણ દબાણ કરતો હતો, જેથી અંકિતા છુપાઈને અશોકને મળવા જતી હતી. વર્ષ 2020માં ઉત્તરાયણના દિવસે રાતના સમયે અશોક ફોર-વ્હીલર ગાડીમાં ત્રણચાર લોકોને બેસાડીને તેમની સોસાયટી પાસે આવ્યો હતો, પરંતુ એ સમયે સોસાયટીમાં બધા હોવાથી અશોક સોસાયટીમાં અંદર ગયો નહોતો. ત્યારે ચંદ્રકાંતભાઈએ 100 નંબર પર ફોન કરી પોલીસને બોલાવીને અશોક પટેલ અને તેના મિત્ર વિરુદ્ધ ફરિયાદ આપી હતી.