અમદાવાદના 67 વર્ષીય નિવૃત્ત નાગરિક ફરી એકવાર સુનિયોજિત સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારીઓ અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના અધિકારીઓ તરીકે ઓળખ આપીને ઠગબાજોએ તેમને ડિજિટલ એરેસ્ટને ધરપકડની ધમકી આપી હતી. આ લોકોએ તેમના પર આતંકવાદને ભંડોળ પૂરું પાડવાનો આરોપ લગાવ્યો હતો. બાદમાં તેમને ખોટા ‘વેરિફિકેશન’ માટે પૈસા ટ્રાન્સફર કરવા મજબૂર કર્યા હતા, જેમાં નિવૃત્ત નાગરિકે ₹15.2 લાખ ગુમાવ્યા છે.
સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR મુજબ, અમદાવાદમાં ન્યૂ ગુંજન વિસ્તારમાં પત્ની સાથે રહેતા નિવૃત્ત નરેશભાઈ શાહને 28 નવેમ્બરથી 2 ડિસેમ્બર દરમિયાન ફોન કોલ્સ, વોટ્સએપ વીડિયો કોલ્સ અને બનાવટી દસ્તાવેજો દ્વારા નિશાન બનાવાયા હતા. આ દસ્તાવેજો પર કથિત રીતે ED અને સુપ્રીમ કોર્ટના લોગો હતા.

28 નવેમ્બરની મધ્યરાત્રિ બાદ નરેશભાઈને પહેલીવાર એક વ્યક્તિનો કોલ આવ્યો, જેણે પોતાની ઓળખ મુંબઈ પોલીસમાં ફરજ બજાવતા IPS સંદીપ રોય આપી હતી. તેણે દાવો કર્યો કે, નરેશભાઈ શાહનો આધાર નંબર બંગાળમાં ‘એક ઇસ્લામિક સંગઠન પર દરોડા’ની કાર્યવાહીમાં મળ્યો છે, જેનો ઉપયોગ મની લોન્ડરિંગ અને આતંકવાદને ભંડોળ પૂરું પાડવા માટે થયો છે.
આમ કહીને ઠગબાજે વોટ્સએપ વીડિયો કોલમાં પોલીસ યુનિફોર્મમાં દેખાઈને વિશ્વાસ કેળવી લીધો હતો. ત્યારપ છી તેણે નરેશભાઈ અને તેમના પત્નીના લાઈવ ફોટાની માંગણી કરી અને અબ્દુલ રહીમ નામના શંકાસ્પદ વ્યક્તિ પાસેથી કથિત રીતે મળેલા આધાર કાર્ડ, ATM કાર્ડ અને બનાવટી FIR દસ્તાવેજોના ફોટા મોકલ્યા હતા.
નરેશભાઈ ગભરાઈ જતાં, તેમને વોટ્સએપ પર અન્ય એક વ્યક્તિ સાથે પરિચય કરાવાયો હતો. તેણે પોતાની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના પોલીસ અધિકારી પ્રદીપ જયસ્વાલ તરીકે આપી હતી. આ બંનેએ EDના લોગો ધરાવતા નકલી દસ્તાવેજો શેર કર્યા, જેમાં ગેરકાયદે પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) અને મની લોન્ડરિંગ નિવારણ અધિનિયમ (PMLA) હેઠળ કાર્યવાહીની ધમકી આપી હતી. આ દરમિયાન ઠગબાજોએ નરેશભાઈ અને તેમના પત્નીને દર બે કલાકે સેલ્ફી મોકલવાનો આદેશ આપ્યો હતો, જેથી ‘લાઈવ હાજરી’ કન્ફર્મ થઈ શકે. આ સાથે જ, કોઈને પણ આ વાત ન જણાવવાની સખત ચેતવણી આપી હતી.
આ દરમિયાન તેમણે સુપ્રીમ કોર્ટ દ્વારા કથિત રીતે ઈસ્યૂ કરાયેલો અને ભારત સરકારના સચિવ કક્ષાના હોદ્દેદાર દ્વારા સહી કરાયેલો એક નકલી દસ્તાવેજ ફોરવર્ડ કર્યો હતો, જેમાં આતંકવાદને ભંડોળ પૂરું પાડવાના કથિત જોડાણો દર્શાવીને તપાસની શરતોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ સાથે આરોપીઓએ નરેશભાઈની બેંક વિગતો, મિલકતની માહિતી અને અંગત ડેટા પણ મેળવી લીધો હતો. છેવટે, તેમણે નરેશભાઈને જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ, તેમના બધા પૈસા કાળું નાણું નથી તે નક્કી કરવા માટે વેરિફિકેશન કરવું પડશે. આ માટે તમામ પૈસા એક ખાતામાં ટ્રાન્સફર કરો. જો તે પૈસા કાયદેસર હશે તો પરત આવી જશે.
આ ધમકીઓથી ગભરાઈને નરેશભાઈએ ઠગબાજોને બે વાર RTGSની મદદથી પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તેમણે 1 ડિસેમ્બરના રોજ પત્નીના બેંક ખાતામાંથી ₹8.50 લાખ અને 2 ડિસેમ્બરે તેમના બેંક ખાતામાંથી ₹6.70 લાખ ટ્રાન્સફર કર્યા હતા. આમ, ઠગબાજોએ પૈસા તપાસ એજન્સીઓ પાસે જમા થયા હોવાનું દર્શાવવા માટે બાર કોડ નંબરો અને સુપ્રીમ કોર્ટના સંદર્ભો સાથે ઈડીની નકલી રસીદો પણ આપી હતી.
આ દરમિયાન આરોપીઓએ નરેશભાઈને જણાવ્યું હતું કે, તમારું આ ફંડ ‘વરિષ્ઠ નાગરિક યોજના હેઠળ લોક્ડ’ છે, જે અન્ય બેંક ખાતામાં ટ્રાન્સફર કરો. આ અંગે ત્યારે નરેશભાઈને શંકા જતા તેમણે એક મિત્રની સલાહ લઈને 2 ડિસેમ્બરે સાયબર ક્રાઈમ હેલ્પલાઈનના નંબર 1930 પર સંપર્ક કર્યો હતો અને ઓનલાઈન ફરિયાદ પણ કરી હતી. આ અંગે પોલીસે છેતરપિંડી, સ્વાંગ રચવા, ગુનાઇત ધમકી, કાવતરું અને બનાવટ માટે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો તેમજ સાયબર ક્રાઈમ કાયદાની જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસે ફોન નંબરો, બેંક ખાતાની મદદથી આ ઠગોને શોધવાના પ્રયાસ શરૂ કર્યા છે.


