કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.330 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.330 કરોડના વિવિધ વિકાસપ્રકલ્પોનું લોકાર્પણ,ઈ-લોકાર્પણ, ગણેશજીની મૂર્તિનું અનાવરણ તેમજ નવી વણઝર ગામના પુનર્વસિત રહેવાસીઓને સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ શહેરના પશ્ચિમ તથા દક્ષિણ-પશ્ચિમ વિસ્તારો માટે અત્યંત મહત્વપૂર્ણ એવા વેસ્ટર્ન ટ્રંક મેઈન લાઇન પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, હૃદયને આનંદ થાય એવો આ નાનકડો પરંતુ અત્યંત મહત્વનો કાર્યક્રમ છે.1973ની સાબરમતી પૂર દુર્ઘટનામાં જેમનું સર્વસ્વ નષ્ટ થયું હતું. તેવા નાગરિકોને આજે 50 વર્ષ બાદ પ્લોટની માલિકીનો અધિકાર મળ્યો છે. આવડા મોટા અમદાવાદ શહેરમાં 173 લાભાર્થીઓ સંખ્યાત્મક રીતે ઓછા લાગી શકે, પરંતુ તેમના માટે આ ક્ષણ અત્યંત ઐતિહાસિક અને ભાવનાત્મક છે.

તેમણે વધુમાં જણાવ્યું કે,પશ્ચિમ અને દક્ષિણ-પશ્ચિમ અમદાવાદના આશરે 15 લાખ નાગરિકો માટે અગાઉ ગટરના પાણીના નિકાલની કોઈ સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ નહોતી. વર્ષ 2000થી 2005 દરમિયાન શેલાથી ચાંદખેડા સુધીના વિસ્તારો ઝડપથી શહેરીકરણ પામ્યા, પરંતુ સંપૂર્ણ ડ્રેનેજ વ્યવસ્થા વિકસાવવા માટે વિશાળ બજેટ અને લાંબા સમયની જરૂર હતી. કેટલીક જગ્યાએ ગટર ઉભરાતી સ્થિતિ જોઈને સંસદ સભ્ય તરીકે તેમને વ્યથા થતી હોવાનું તેમણે જણાવ્યું હતું.
લોકો સારું અને સ્વસ્થ જીવન જીવી શકે તેવા વાતાવરણની રચના માટે અમૃત યોજના સહિત શહેરી વિકાસ યોજનાઓનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો છે.અંદાજે રૂ. 400 કરોડના ખર્ચે 1200થી 1800 એમ.એમ.વ્યાસની વિશાળ આર.સી.સી. પાઈપલાઈનો નાખવામાં આવી છે.જેના કારણે ગોતા, ચાંદલોડિયા, સાયન્સ સિટી, સાઉથ બોપલ, ભાડજ, હેબતપુર, થલતેજ, બોપલ-ઘુમા, બોડકદેવ, વેજલપુર, સરખેજ, મક્તમપુરા, મહમદપુરા, ફતેહવાડી, શાંતિપુરા અને સનાથલ સહિતના વિસ્તારોના અંદાજે 15 લાખ નાગરિકોને ડ્રેનેજ ઓવરફ્લો અને ગંદા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ મળશે.


