અમદાવાદના ડ્રાઇવ-ઇન રોડ પર ગઇકાલે(26 મે) મોડીરાતે કારના કાચ તોડીને ચોરી થઈ છે.એરટેલ કંપનીના કર્મચારીઓ હિમાલયા મોલમાં જમવા માટે ગયા હતા ત્યારે ગઠીયાએ કર્મચારીના કારનો કાચ તોડીને ચોરી કરી હતી.આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ત્રાગડ વિસ્તારમાં આવેલા અદાણી પ્રથમમાં રહેતા નવીન ચોથવાનીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ કરી છે. નવીન ચોથવાની મૂળ રાજસ્થાનના જોધપુર ખાતેના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી અમદાવાદમાં એકલા રહે છે. નવીન થલતેજ વિસ્તામાં આવેલા ઝોડિયાર્ક બીલ્ડીંગની એરટેલ ઓફિસમાં એરીયા મેનેજર તરીકે નોકરી કરે છે.
નવીનની નોકરીનો સમય સવારે નવ વાગ્યાથી રાતના આઠ વાગ્યાનો છે. ગઇકાલે નવીન તેમજ સ્ટોર મેનેજર સ્નેહલ સહિતના કર્મચારીઓ કાર લઇને ડ્રાઇવ-ઇન રોડ પર જમવા માટે ગયા હતા. નવીને પોતાની કાર હિમાલયા મોલના રોડ પર પાર્ક કરી હતી. નવીન કર્મચારીઓ સાથે જમીને બહાર આવ્યા ત્યારે આઇસક્રીમ ખાવા માટે ઉભા રહ્યા હતા. આઇસ્ક્રીમ ખાઇ રહ્યા હતા ત્યારે નવીનની નજર પોતાની કાર ઉપર ગઇ હતી. કારના પાછળના દરવાજાનો કાચ તુટેલો હતો જેથી તે તરત જ ત્યાં પહોચી ગયો હતો.
નવીને કારમાં જઇને જોયુ તો લેપટોપનું ચાર્જર, મોબાઇલનું ચાર્જર, ઓફિસની ડાયરી, સ્નેહલનું પર્સ તેમજ મહત્વના ડોક્યુમેન્ટ ગાયબ હતા. સ્નેહલના પર્સમાં 18 હજાર રૂપિયા હતા. નવીને તરત જ પોલીસ કંટ્રોલરુમમાં ચોરી થઇ હોવાની જાણ કરી દીધી હતી. ઘટનાની જાણ વસ્ત્રાપુર પોલીસને થતા તેઓ તરત જ ઘટના સ્થળે પહોચી ગયા હતા. કારનો કાચ તોડીને ગઠીયાઓએ નવીનની કારમાંથી રોકડ તેમજ કિંમતી સરસામાનની ચોરી કરીને ફરાર થઇ ગયા છે.