અમદાવાદમાં આગામી ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં રમાનારા ICC મેન્સ T-20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ છે. આ ઉત્સાહને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા સ્ટેડિયમ આવતા દર્શકોની સુવિધા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. મેચના દિવસો દરમિયાન મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે, જેથી મોડી રાત્રે મેચ પૂરી થયા બાદ પ્રેક્ષકો સરળતાથી ઘરે પહોંચી શકે.
વર્લ્ડ કપની મેચોના દિવસે મેટ્રો સેવાઓ લંબાવવામાં આવી છે. ખાસ કરીને 09/02/2026, 11/02/2026, 14/02/2026, 18/02/2026, 22/02/2026, 26/02/2026 અને 08/03/2026 (ફાઈનલ મેચ) ના રોજ મેટ્રો ટ્રેન મધરાત્રિના 12:30 વાગ્યા સુધી કાર્યરત રહેશે. સામાન્ય દિવસોમાં મેટ્રો રાત્રે 10 વાગ્યે બંધ થઈ જતી હોય છે, પરંતુ મેચના દિવસોએ આ ખાસ સુવિધા ઉપલબ્ધ રહેશે.અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ હાલમાં સવારે 06:20 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી કાર્યરત છે તેમજ ગાંધીનગર કોરિડોરમાં મોટેરા સ્ટેડિયમ અને મહાત્મા મંદિર વચ્ચે મેટ્રો સેવાઓ સવારે 07:30 વાગ્યાથી રાત્રિના 07:40 વાગ્યા સુધી કાર્યરત છે.

કયા રૂટ પર દોડશે સ્પેશિયલ ટ્રેન?
નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ડે/નાઈટ ક્રિકેટ મેચના દિવસોમાં GMRC દ્વારા રાત્રિના સમય દરમિયાન સ્પેશિયલ મેટ્રો ટ્રેન સેવાઓ સંચાલિત કરવામાં આવશે.
•મોટેરા સ્ટેડિયમથી એપીએમસી : રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:20 વાગ્યા સુધી
•ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી વસ્ત્રાલ ગામ: રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:50 વાગ્યા સુધી
•ઓલ્ડ હાઇકોર્ટ ઇન્ટરચેન્જથી થલતેજ ગામ: રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:50 વાગ્યા સુધી
•મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર: મધ્યરાત્રિના 11:40 વાગ્યે તથા મધ્યરાત્રિના 12:10 વાગ્યે સુધી
રાત્રિના 10 વાગ્યાથી મધ્યરાત્રિના 12:30 વાગ્યા સુધીના લંબાવેલ સમય દરમિયાન મુસાફરો માત્ર મોટેરા સ્ટેડિયમ મેટ્રો સ્ટેશન તથા સાબરમતી મેટ્રો સ્ટેશન પરથી મેટ્રોમાં બેસી શકશે અને ત્યાંથી અમદાવાદ મેટ્રોના બંને કોરિડોર (મોટેરા સ્ટેડિયમથી એપીએમસી તથા વસ્ત્રાલ ગામથી થલતેજ ગામ) પરના કોઈપણ કાર્યરત મેટ્રો સ્ટેશન સુધી મુસાફરી કરી શકશે. ગાંધીનગર જવા માટે, મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી રાત્રે બે વધારાની મેટ્રો ટ્રેન મધ્યરાત્રિના 11:40 કલાકે અને મધ્યરાત્રિના 12:10 કલાકે ઉપડશે.
આ ઉપરાંત, જીએમઆરસીએ મેટ્રોના મુસાફરોને મુશ્કેલી ના પડે તે માટે T-20 મેચ ના દિવસ માટે જ મોટેરા સ્ટેડિયમથી રાત્રે પરત ફરવા, સ્પેશ્યલ પેપર ટિકિટ જાહેર કરી છે. આ ટિકિટનો દર પ્રતિ વ્યક્તિ 50 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ ટિકિટ દ્વારા મોટેરા સ્ટેડિયમ અને સાબરમતી મેટ્રો સ્ટેશનથી અમદાવાદ અને ગાંધીનગરના નિર્ધારિત સ્ટેશનો સુધી વિસ્તૃત સમય દરમિયાન મુસાફરી કરી શકાશે.
રાત્રે 10:00 વાગ્યા સુધી સામાન્ય સ્માર્ટ કાર્ડ, ટોકન અને QR ટિકિટ માન્ય રહેશે.પરંતુ 10:00 વાગ્યા પછી માત્ર સ્પેશ્યલ પેપર ટિકિટથી જ મેટ્રોમાં પ્રવેશ આપવામાં આવશે. મુસાફરો સુવિધા માટે આ સ્પેશ્યલ પેપર ટિકિટ મેચના દિવસે અગાઉથી પસંદગીના મેટ્રો સ્ટેશનો પરથી ખરીદી શકશે, જેથી પરત ફરતી વખતે લાંબી લાઇનમાં ઊભા રહેવું ન પડે.


