સ્થાનિકોએ જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરવાને બદલે સોસાયટીના રહીશોને જ ધમકાવે છે અને હપ્તા લઈને રવાના થઈ જાય છે.
અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલી આશીર્વાદ એવન્યુ સોસાયટીના રહીશોએ સોસાયટીમાં ચાલતી અનૈતિક કોમર્શિયલ એક્ટિવિટીઝ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. રહીશોનો ગંભીર આક્ષેપ છે કે સોસાયટીની બહારના ભાગે સ્પાના નામે કૂટણખાના ચલાવવામાં આવી રહ્યા છે, જેના કારણે અહીં ભારે ‘ન્યૂસન્સ’ ઉભું થયું છે. આ અસામાજિક પ્રવૃત્તિઓને કારણે સોસાયટીમાં રહેતી મહિલાઓ અને દીકરીઓનું ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે. સ્થાનિકોએ જણાવ્યું કે વારંવાર રજૂઆતો કરવા છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરવાને બદલે સોસાયટીના રહીશોને જ ધમકાવે છે અને હપ્તા લઈને રવાના થઈ જાય છે.

સોસાયટીના લોકોએ માત્ર પોલીસ જ નહીં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સામે પણ સવાલો ઉઠાવ્યા છે. રહીશોના મતે, સોસાયટીનું અંડરગ્રાઉન્ડ પાર્કિંગ દબાવી દેવામાં આવ્યું છે અને બહારની ગેરકાયદે પ્રવૃત્તિઓ છતાં કોઈ પાર્કિંગ હટાવવા આવતું નથી. અગાઉ આ મુદ્દે થયેલી માથાકૂટમાં પણ પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નહોતી. તંત્રની રહેમનજર હેઠળ ચાલતા આ ગોરખધંધા અને ભ્રષ્ટાચારથી કંટાળીને આજે સોસાયટીના મોટી સંખ્યામાં રહીશો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે આ સ્પા અને ગેરકાયદે પ્રવૃત્તિઓ બંધ નહીં થાય તો તેઓ આંદોલન વધુ તેજ બનાવશે.


