અમદાવાદ જિલ્લાની નવી ડ્રાફ્ટ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) જાહેર કરવામાં આવી છે, જેમાં જિલ્લાની વિવિધ બેઠકોના મતદારોના આંકડામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. નવી યાદી મુજબ, મુખ્યમંત્રીની બેઠક ગણાતી ઘાટલોડિયા વિધાનસભામાં સૌથી વધુ મતદારો નોંધાયા છે, જ્યારે બાપુનગર વિધાનસભા બેઠક મતદારોની સંખ્યાની દ્રષ્ટિએ સૌથી નાની સાબિત થઈ છે.

સૌથી વધુ અને સૌથી ઓછા મતદારો
મતદાર યાદીના આંકડાકીય વિશ્લેષણ મુજબ અમદાવાદની બેઠકોની સ્થિતિ નીચે મુજબ છે. ઘાટલોડિયા વિધાનસભામાં જિલ્લાના સૌથી વધુ 3.65 લાખ મતદારો નોંધાયા છે. જ્યારે બાપુનગર વિધાનસભામાં જિલ્લાના સૌથી ઓછા 1.50 લાખ મતદારો નોંધાયા છે.
મૃતક અને સ્થળાંતરિત મતદારોના નામ કમી કરાયા
તંત્ર દ્વારા મતદાર યાદીને શુદ્ધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સમગ્ર અમદાવાદ જિલ્લામાં કુલ 2.53 લાખ મૃતક મતદારોના નામ યાદીમાં હોવાનું સામે આવ્યું હતું. વેજલપુર વિધાનસભા બેઠક પરથી સૌથી વધુ 18,161 મૃતક મતદારોના નામ મળી આવ્યા હતા. અમરાઈવાડી વિધાનસભા બેઠક પર સૌથી વધુ 69,748 મતદારોએ કાયમી ધોરણે સ્થળાંતર કર્યું હોવાનું રિપોર્ટમાં નોંધાયું છે.



