અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોત મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. બાળકીના માતા અને પિતાના બ્લડ સેમ્પલમાં મોટો ખુલાસો થયો છે. અત્યાર સુધી આ કેસમાં ફૂડ પોઈઝનિંગ હોવાનું માનવામાં આવતું હતું હવે તેમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. બાળકીના વાલીના બ્લડ સેમ્પલની તપાસમાં ઊંઘની દવાના અવશેષો મળ્યા છે. આ રિપોર્ટ બાદ પોલીસની તપાસ વધુ સઘન બની રહી છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ઢોંસાનું ખીરુ ખાધા બાદ બે બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનાએ સમગ્ર શહેરમાં અરેરાટી મચાવી દીધી છે. આ મામલે હવે ચાંદખેડા પોલીસે ગંભીરતા દાખવીને ફૂડ પોઈઝનિંગના કારણો શોધવા માટે મોટા પાયે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.બાળકીના મોત બાદ પરિવારે તેની અંતિમ વિધિ કરી દીધી હતી. જોકે, મોત પાછળ ઝેરી ખોરાક જવાબદાર હોવાની શંકા દ્રઢ થતા પોલીસે આજે સવારે સ્મશાનમાંથી બાળકીના મૃતદેહને બહાર કાઢ્યો હતો. આ મૃતદેહને પેનલ ડોક્ટરોની હાજરીમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ (PM) માટે મોકલવામાં આવ્યો હતો.

ચાંદખેડા પોલીસે આ તપાસમાં FSLની ટીમને પણ સાથે રાખી હતી. તપાસનીશ ટીમોએ જે ડેરીમાંથી ખીરુ ખરીદવામાં આવ્યું હતું ત્યાં અને મૃતક બાળકીના ઘરે જઈને ખાદ્ય પદાર્થોના સેમ્પલ લીધા હતાં. આ તમામ સેમ્પલને લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતાં. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલા બાળકીના માતા પિતા વિમલ પ્રજાપતિ અને ભાવના પ્રજાપતિના બ્લડ સેમ્પલ લેવાયા હતાં. જેની તપાસમાં આ સેમ્પલમાંથી ઊંઘની દવાના અવશેષો મળ્યા છે.


