E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratAhmedabadAhmedabad : રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં...

Ahmedabad : રખિયાલમાં ધોળા દિવસે યુવક પર તલવારથી જીવલેણ હુમલો, ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

શહેરના રખિયાલ વિસ્તારમાં બુધવારે ધોળા દિવસે એક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે જીવલેણ હુમલો કરવામાં આવતા સ્થાનિકો અને રાહદારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઘટના અજીત મિલ ચાર રસ્તા પાસે મણિયાર ટેલર કંપની નજીક જાહેર રોડ પર બની હતી.

પ્રાથમિક વિગતો મુજબ, હુમલાખોરોએ તલવારો અને અન્ય ઘાતક હથિયારો વડે યુવક પર ઘાતક હુમલો કર્યો હતો. નવાઈની વાત એ છે કે, હુમલાખોરોએ પોલીસને ખુલ્લેઆમ પડકાર ફેંકી ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ભરચક વિસ્તારમાં અચાનક થયેલા આ હિંસક હુમલાને કારણે નાસભાગ મચી ગઈ હતી અને આસપાસના લોકો જીવ બચાવવા દોડતા જોવા મળ્યા હતા.

આ હુમલામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ડોક્ટરોના જણાવ્યા મુજબ હાલ યુવકની હાલત અત્યંત નાજુક છે.

ઘટનાની જાણ થતા જ રખિયાલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. હુમલાખોરોની ઓળખ કરવા અને ઘટનાક્રમને સમજવા માટે આસપાસની કંપનીઓ અને દુકાનોના સીસીટીવી (CCTV) ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “હુમલા પાછળનો હેતુ અને હુમલાખોરો કોણ હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. અમે તમામ પાસાઓ પર તપાસ કરી રહ્યા છીએ.” પોલીસે આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments