12મી જૂન સમગ્ર દેશ માટે ગોઝારી સાબિત થઈ હતી. અમદાવાદથી લંડન સીધી નોન સ્ટોપ ફલાઈટ જ્યારે ટૅક્ ઑફના માત્ર થોડીક સેકન્ડમાં ઉડતું મોત બનીને બી.જે.મેડિકલ કૉલેજના કેમ્પસમાં ધરાશાયી થયું હતું. ત્યારે વિમાનમાં સવાર પ્રવાસીઓ તો મૃત્યુ પામે છે પરંતુ હૉસ્ટેલ અને આસપાસના લોકો પણ આ હતભાગી વિમાનના ઝપટે ચઢી જાય છે. આ દરમ્યાન મેઘાણીનગર વિસ્તારમાંથી વિમાન દુર્ઘટના બાદ બે વ્યકિત ગુમ થયાનો પરિવારો દ્વારા પોલીસમાં રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જો કે, બાદમાં પોલીસે ખોવાયેલી બે વ્યકિતના પરિવારજનોના DNA સેમ્પલ લેવડાવ્યા હતા.

જે DNA નમૂનાનો રિપોર્ટ મૃતદેહ સાથે મેચ થશે તો આ અંગેની પરિવારને જાણ કરાશે. મળતી માહિતી મુજબ મેઘાણીનગરમાં રહેતા પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં આ વિમાન ક્રેશ થયા બાદ ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે પોતાનાથી થતી તપાસ બાદ આખરે સિવિલ હોસ્પિટલમાં પરિવારજનોના DNA નમૂના લીધા હતા. જો કાટમાળમાંથી મળેલા અવશેષોના ડીએનએ સેમ્પલ સાથે મેચ થશે તો પરિવારને આ અંગેની જાણ કરવામાં આવશે.