અમદાવાદના વેજલપુર વિસ્તારમાં આવેલા ચંદ્રનગર આવાસમાં તંત્ર દ્વારા ડિમોલિશનની મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. સરકારની રી-ડેવલપમેન્ટ પોલિસી (પુનઃવિકાસ નીતિ) હેઠળ જૂના અને જર્જરિત મકાનોના સ્થાને નવા આધુનિક મકાનો બનાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
ચંદ્રનગરના કુલ 27 જેટલા ધારકો/કબજેદારો દ્વારા મકાન ખાલી કરવામાં ન આવતા, આજે તંત્રએ કાયદેસરની કાર્યવાહી કરી આ મકાનોનો કબજો મેળવ્યો હતો અને તેને તોડી પાડવાની પ્રક્રિયા શરૂ કરી હતી. અગાઉ મોટાભાગના રહીશોએ પ્રોજેક્ટની તરફેણમાં રહીને પોતાના મકાનો જાતે જ ખાલી કરી દીધા હતા, પરંતુ બાકી રહેલા મકાનોમાં આજે મનપાના કાફલાએ ડિમોલિશન કર્યું હતું.

આ સ્કીમ હેઠળ હવે જૂના આવાસોની જગ્યાએ તમામ સુવિધાયુક્ત નવા મકાનો બનાવવામાં આવશે, જેનો લાભ મૂળ લાભાર્થીઓને જ મળશે. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને એસ્ટેટ વિભાગનો મોટો કાફલો ઘટનાસ્થળે તૈનાત રહ્યો હતો. આ કામગીરી પૂર્ણ થતા હવે નવા બિલ્ડિંગના નિર્માણ માટેનો માર્ગ મોકળો બન્યો છે.


