ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. SIRની કામગીરી બાદ ચૂંટણી પંચ દ્વારા લોકલ બોડી ઈલેક્શનની તૈયારીઓ શરૂ કરી દેવાશે. આ ચૂંટણીમાં EWS અનામતની માગ હવે પ્રબળ બની છે. આજે આ મુદ્દે સવર્ણ સમાજની એક બેઠક મળી હતી.
ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે. SIRની કામગીરી બાદ ચૂંટણી પંચ દ્વારા લોકલ બોડી ઈલેક્શનની તૈયારીઓ શરૂ કરી દેવાશે. આ ચૂંટણીમાં EWS અનામતની માગ હવે પ્રબળ બની છે. આજે આ મુદ્દે સવર્ણ સમાજની એક બેઠક મળી હતી. જેમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિતના સવર્ણ વર્ગના આગેવાનો જોડાયા હતાં. આ બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ કરવામાં આવી હતી.

આજે મળી સવર્ણ વર્ગની બેઠકમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ કરવામાં આવી છે. આ બેઠકમાં 109 જાતિઓની એક કમિટી બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કમિટીમાં દરેક સમાજના આગેવાનને સ્થાન આપવામાં આવશે. આ ઉપરાંત સવર્ણ વર્ગ દ્વારા આગામી ચૂંટણીમાં ઝવેરી પંચની ભલામણોને લાગુ કરવા પણ રજૂઆત કરવામાં આવી છે. ઝવેરી પંચની ભલામણો લાગુ કરવામાં પણ ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા અનામત મુદ્દે સરકારને રજૂઆત કરીશું. આજે લેખિતમાં સહિઓ સાથે સરકારમાં રજૂઆત થશે. તમામ સાંસદો અને ધારાસભ્યોને પણ રજૂઆત કરાશે. અમારી માગ ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની છે. જો અમારી માગ નહીં સ્વીકારાય તો પરચો બતાવીશું. એસટી વિસ્તારમાં પણ અનામત લાગુ કરવામાં ખામીઓ સામે આવી છે. સરકારમાં રોસ્ટર પદ્ધતિ લાગુ કરવા મુદ્દે પણ રજૂઆત કરાશે. બ્લોકમાં વસ્તી પ્રમાણે અનામત ફાળવાવી જોઇએ. આ અંગે ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ કહ્યું હતું કે, આજની બેઠકમાં તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. EWS અનામતની માગને ક્ષત્રિય સમાજનું સમર્થન છે.


