અમદાવાદ :અમદાવાદમાં ગઇકાલે પ્લેન ક્રેશની ઘટનામાં 241 યાત્રીઓનું મોત થયું હતું. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું પણ નિધન થયું છે. વિજયભાઇ રૂપાણીની અંતિમવિધિ રાજકોટ ખાતે યોજાશે. 3 દિવસ બાદ તેમની અંતિમવિધિ યોજાવાની સંભાવના છે. CM ભૂપેન્દ્ર પટેલે X પોસ્ટ કરીને વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ આપી છે.
CM ભૂપેન્દ્ર પટેલે ટ્વિટમાં લખ્યું હતું કે, અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરું છું. સૌમ્ય અને સંવેદનશીલ વ્યક્તિત્વ ધરાવતા વિજયભાઇએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં અને ત્યાર બાદ પક્ષમાં કુશળ સંગઠક તરીકે વિવિધ જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવી હતી.
CM ભૂપેન્દ્ર પટેલે વધુમાં લખ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે પારદર્શી અને નિર્ણાયક નેતૃત્વથી રાજ્યની સર્વાંગીણ વિકાસ યાત્રાને આગળ ધપાવવામાં તેમનું યોગદાન સદૈવ યાદ રહેશે. સુજલામ સુફલામ જળ અભિયાનથી લઈને શાળાઓમાં જ્ઞાનકુંજ પ્રોજેક્ટ માટેના તેમના સફળ અને પરિણામદાયી પ્રયાસો અવિસ્મરણીય છે. ઈશ્વર સદ્ગતના આત્માને શાંતિ અર્પે અને તેમના સ્વજનો અને સમર્થકોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના..
DNA ઓળખ પ્રક્રિયાનું કામ ચાલુ છે: CM
CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું. અમદાવાદમાં પ્લેન ક્રેશની કરુણ દુર્ઘટનાનો ભોગ બનેલ યાત્રિકોના સ્વજનોની સહાય માટે, તેમજ ઈજાગ્રસ્તોની સારવાર માટે તંત્ર પૂરી સંવેદના સાથે ફરજરત છે.યાત્રીઓના સ્વજનો માટે સરકીટ હાઉસ તેમજ અન્ય સ્થળોએ રોકાણની તેમજ સિવિલ હોસ્પિટલથી આ સ્થળોએ પહોંચવા માટે વાહનવ્યવહારની વ્યવસ્થા કરવામાં આવી છે.સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ સતત સેવારત છે. DNA ઓળખ પ્રક્રિયાનું કામ ચાલી રહ્યું છે, ત્યાં પોલીસકર્મીઓ આ સૌ પરિવારજનોની ખાસ સંભાળ રાખી રહ્યા છે.પીડાના આ કપરા કાળમાં સૌ એક થઈને નિષ્ઠાપૂર્વક ફરજ નિભાવી રહ્યા છે.