અમદાવાદ શહેરના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવાના લક્ષ્ય સાથે આજે સવારે જે. ડી. નગરવાલા સ્ટેડિયમ, પોલીસ મુખ્ય મથક – શાહીબાગ ખાતે એક મહત્વપૂર્ણ ભરતી પ્રક્રિયાનો આરંભ થયો છે.
અમદાવાદ શહેરના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપનને વધુ સુદૃઢ બનાવવાના લક્ષ્ય સાથે આજે સવારે જે. ડી. નગરવાલા સ્ટેડિયમ, પોલીસ મુખ્ય મથક – શાહીબાગ ખાતે એક મહત્વપૂર્ણ ભરતી પ્રક્રિયાનો આરંભ થયો છે. અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરેટ દ્વારા TRB માનદ સેવકોની 650 જેટલી ખાલી જગ્યાઓ ભરવા માટે આજ રોજ સવારે 7 કલાકથી ભરતી કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે.
આ ભરતી પ્રક્રિયાનો મુખ્ય ભાગ 800 મીટરની દોડ (રનિંગ ટેસ્ટ) અને શારીરિક માપદંડ ચકાસણી છે, જેમાં મોટી સંખ્યામાં ઉત્સાહી યુવાનોએ ભાગ લીધો હતો. આ માનદ સેવકો ટ્રાફિક પોલીસના ખભેખભા મિલાવીને શહેરની ગતિને અવિરત જાળવવામાં મદદરૂપ થશે.

આજ રોજ અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે સ્વયં આ સંપૂર્ણ ભરતી પ્રક્રિયાનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ભરતીની વ્યવસ્થા અને ઉમેદવારોની ઉત્સાહપૂર્વક ભાગીદારીને બારીકાઈથી જોઈ હતી. તેમની સાથે સંયુક્ત પોલીસ કમિશનર (ટ્રાફિક) એન.એન. ચૌધરી તથા ટ્રાફિક શાખાના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઊપસ્થિત રહીને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિકે જણાવ્યું હતું કે, ટ્રાફિક બ્રિગેડના આ માનદ સેવકો શહેરની કાયદો અને વ્યવસ્થા જાળવવાની પ્રક્રિયામાં એક મજબૂત કડી છે. યુવાનોનો આ ઉત્સાહ પ્રશંસનીય છે. ઉલ્લેખનીય છે કે, આ પ્રક્રિયા મારફતે અમદાવાદ શહેરને ટ્રાફિક નિયંત્રણ માટે વધુ કાર્યક્ષમ અને સમર્પિત માનવબળ પ્રાપ્ત થશે.


