અમરેલી જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવતા ખાંભા પંથક અને ગીરના સરહદી ગામડાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. જીક્યાળી અને ધજડી સહિતના વિસ્તારોમાં પવન સાથે પડેલા આ માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં મોટો વધારો થયો છે.
અમરેલી જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક પલટો જોવા મળ્યો છે. ખાંભા પંથક સહિત ગીરના સરહદી ગામડાઓમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડતા ખેડૂતોની ચિંતામાં ભારે વધારો થયો છે. કાળઝાળ ગરમી વચ્ચે વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ક્ષણિક ઠંડક તો પ્રસરી છે, પરંતુ આ વરસાદ ખેતી પાક માટે ‘આફત’ સમાન સાબિત થઈ રહ્યો છે.

ખાંભાના જીક્યાળી, ધજડી સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. ચૈત્ર માસમાં વરસેલા આ વરસાદને કારણે ગીરની શાન ગણાતી કેરીના પાકને વ્યાપક નુકસાન થવાની શક્યતા છે. આ ઉપરાંત ખેડૂતોએ વાવેલા ઉનાળુ પાક જેવા કે તલ, બાજરી અને મગફળીમાં પણ માવઠાને કારણે રોગચાળો ફાટી નીકળવાની અથવા પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે.
વૈશાખ મહિના પહેલા જ પડી રહેલા આ વરસાદે ધરતીપુત્રોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માર્કેટ યાર્ડમાં પડેલી જણસીઓ અને ખેતરમાં કાપણી બાકી હોય તેવા પાકને બચાવવા ખેડૂતોમાં દોડધામ મચી ગઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં થયેલા આ વરસાદે ઉનાળુ સીઝનના ગણિત બગાડી નાખ્યા છે.


