આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ આશાપુરી માતાજીનું મંદિર હાલ એક મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી કોમર્શિયલ ગેસના બાટલાની સર્જાયેલી તીવ્ર અછતને કારણે મંદિરનું વિનામૂલ્યે ચાલતું ભોજનાલય અનિશ્ચિતકાળ માટે બંધ કરવાની ફરજ પડી છે. જેના કારણે દૂર-દૂરથી આવતા હજારો શ્રદ્ધાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
પીપળાવના આશાપુરી માતાજીના મંદિરે માત્ર આણંદ જિલ્લો જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાંથી ભક્તો દર્શનાર્થે આવે છે. ખાસ કરીને દર રવિવારે અહીં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે. આ ભક્તો માટે મંદિરમાં વર્ષોથી વિનામૂલ્યે ભોજનની વ્યવસ્થા ચાલતી હતી. જોકે, છેલ્લા કેટલાક દિવસોથી સોજીત્રા પંથકમાં કોમર્શિયલ ગેસના સિલિન્ડરની ભારે અછત જોવા મળી રહી છે, જેની સીધી અસર હવે શ્રદ્ધાળુઓના જઠરાગ્નિ પર પડી છે.

મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્તરે કોમર્શિયલ ગેસની સપ્લાય ખોરવાઈ હોવાથી મંદિરમાં ભોજન રાંધવા માટે જરૂરી ઇંધણ ઉપલબ્ધ નથી. મંદિર પ્રશાસન દ્વારા પ્રયાસો કરવા છતાં ગેસની બોટલો ન મળતા અંતે ભોજનાલયને તાળા મારવાની નોબત આવી છે. દર્શન કરવા આવતા યાત્રિકો જે આશા સાથે ભોજન લેવા આવતા હતા, તેમને હવે બહાર હોટલો કે નાસ્તાના સેન્ટરો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે.
સ્થાનિકો અને ભક્તોની માંગ છે કે, તંત્ર દ્વારા સત્વરે ગેસની સપ્લાય પૂર્વવત કરવામાં આવે જેથી પવિત્ર યાત્રાધામમાં ફરીથી ભોજનની સુવિધા શરૂ થઈ શકે.


