આણંદમાં બહારની વાનગીઓના શોખીનો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પ્રખ્યાત નાસ્તા હાઉસમાં ખાદ્યપદાર્થમાંથી જીવાત નીકળતા ગ્રાહકોના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
આણંદના વિદ્યાનગર-બાકરોલ રોડ પર આવેલી જાણીતી ખાણીપીણીની દુકાન ‘ભગવતી ભજીયા હાઉસ’ માં એક ગ્રાહકને અત્યંત કડવો અને અણગમતો અનુભવ થયો છે. કરમસદની મુખ્ય બ્રાન્ચના પ્રખ્યાત બટાકાવડાનો સ્વાદ માણવા ગયેલા ગ્રાહકની પ્લેટમાં પીરસવામાં આવેલા બટાકાવડામાંથી મરેલો વંદો નીકળતા ચકચાર મચી ગઈ છે.

બાકરોલ શાખામાં નાસ્તો કરવા ગયેલા ગ્રાહકે જ્યારે બટાકાવડા ખાવાનું શરૂ કર્યું, ત્યારે તેમાં વંદો હોવાનું માલૂમ પડ્યું હતું. આ ગંદકી જોઈને ગ્રાહકે તાત્કાલિક હોબાળો મચાવ્યો હતો અને રેસ્ટોરન્ટના સંચાલકો સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. ગ્રાહકે આરોપ લગાવ્યો હતો કે આટલી પ્રખ્યાત જગ્યાએ પણ સ્વચ્છતાના નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા છે.
આખા આણંદ જિલ્લામાં ભગવતી ભજીયા હાઉસ તેના સ્વાદ માટે ખુબજ જાણીતું છે. પરંતુ આ ઘટના બાદ તેની છબી ખરડી છે. સ્થાનિકોમાં પણ આ અંગે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે એ જોવાનું રહ્યું કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આ મામલે રેસ્ટોરન્ટ સામે શું કડક પગલાં લે છે. સ્વાદનો ચટાકો લેનારા લોકોએ હવે જાગૃત થવાની જરૂર છે કે તેઓ જે ખાઈ રહ્યા છે તે કેટલું શુદ્ધ છે.


