ભરૂચ જીલ્લાના અંકલેશ્વર સ્થિત સી.આઈ.એસ.એફ યુનિટ પર ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ અણધારી પરિસ્થિતિ, ખાસ કરીને સુરક્ષા સંબંધિત પડકારોનો સામનો કરવા માટેની સજ્જતા અને તાલમેલ ચકાસવાનો હતો.

કટોકટીના સમયે વિવિધ સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક તંત્ર વચ્ચેનું સંકલન કેટલું મજબૂત છે તે સુનિશ્ચિત કરવા માટે આ કવાયત હાથ ધરવામાં આવી હતી. જેમાં અંકલેશ્વર સી.આઈ.એસ.એફ યુનિટ ખાતે દુશ્મન તરફથી હુમલો થયો હતો. જેની જિલ્લા કંટ્રોલરૂમ તથા પોલીસ કંટ્રોલરૂમ ખાતે જાણકારી મળી હતી. સૂચના મળતા જ જિલ્લાના વિવિધ વિભાગો સ્થિતિ પર કાબુ મેળવવા સી.આઈ.એસ.એફ યુનીટ સ્થળ પર પહોંચ્યા હતા અને સામાન્ય ઇજા પામેલા ૨૫ જેટલા જવાનોને બચાવી સારવાર અપાઈ હતી. જ્યારે ૫ જેટલા વધુ ઈજાગ્રસ્તોને સારવાર આપવા તબીબી ટીમ સાથે ૩૦ યુનિટ રક્તની જરૂરીયાત ઉભી થતા યુધ્ધના ધોરણે મદદ પહોંચાડી હતી.

આ હુમલા અંગેની જાણકારી મળતા જ સમગ્ર જિલ્લા તંત્ર એલર્ડ મોડ પર આવી ગયું હતું. નાયબ કલેક્ટર અને સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ અંકલેશ્વર, મામલતદાર, પોલીસ વિભાગના અધિકારી સહિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને સમગ્ર સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.

નોંધનીય છે કે, ભારત સરકારના મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા સિવિલ ડીફેન્સ મોકડ્રીલનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી હતી. જે અન્વયે ભરૂચ જિલ્લા સહિત રાજ્યભરમાં “ઓપરેશન શિલ્ડ” મોકડ્રિલ યોજાઇ હતી. “ઓપરેશન અભ્યાસ” બાદ “ઓપરેશન શિલ્ડ” નું આ બીજું આયોજન કરવામાં આવ્યું હતું.
Reporter : કેતન મહેતા, અંક્લેશ્વર, ભરૂચ