વારંવાર નિવૃત સૈનિકો પોતાની માંગોને લઈને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર પાસે રજુઆત કરતા જોવા મળે છે. તેમણે વચ્ચે કરેલા આંદોલન દરમિયાન એક સૈનિકનું મૃત્યુ પણ થયેલું છે ત્યારે એક વાત સમજવા જેવી છે જયારે દેશ ઉપર વિદેશી શક્તિઓ દ્વારા ગમે તે રીતે હુમલા કરવામાં આવે છે ત્યારે દેશના સૈનિકો બધાને યાદ આવે છે. તેમની યશગાથાઓમાં ભાગીદાર બનવા દેશનો દરેક નાગરિક તૈયાર હોય છે પણ જેવું સંકટ ટળે કે સૈનિકો અને તેમની તકલીફો બધું બાજુમાં રાખી એ જ જૂની જીવનશૈલીમાં પરત ફરવાનું જેમાં ભ્રષ્ટાચાર એટલે શિષ્ટાચાર. જે સિદ્ધાંતોને વળગીને કામ કરે છે તે પ્રેક્ટિકલ નથી જેવા વિચારો સાથેના સમાજ પાસે બીજી કોઈ અપેક્ષા રાખવી પણ મુર્ખામી છે. જે પ્રજા પોતાની સમસ્યાઓ સમજી શકે નહિ તે સૈનિકોની સમસ્યા વિશે ગંભીર હોય તેમ માનવું ભૂલ ભરેલું છે.

ગુજરાત સરકારને ફરી નિવૃત સૈનિકોએ પોતાની માંગ યાદ કરાવી છે જેમાં નિવૃત્તિ બાદ સરકારી નોકરીઓમાં અનામત, સેવા દરમિયાન મૃત્યુ પામેલા સૈનિકના પરિવારને પેંશન, તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણમાં અનામત, શહિદ સ્મારક, હથિયારનો પરવાનો જેવી માંગોનો સમાવેશ થાય છે. આમાંથી કેટલી વાતો ઉપર ચર્ચા થઈને તે પરિણામ સુધી આવશે તે તો કેન્દ્ર અને રાજ્ય સરકાર નક્કી કરશે પણ સામાન્ય નાગરિકોએ આગળ આવી પોતે આપી રહેલ સેવાઓ કે ઉત્પાદનોના વેચાણ સમયે ગર્વ કરતા કરતા નિવૃત સૈનિકોને રાહત આપવી જોઈએ. સરહદ ઉપર દુશ્મન દેશના સૈનિકોને પીડા આપતા સૈનિક નિવૃત થઈને આંદોલન કે આવેદનપત્રની પીડા સહન કરતા જોવા મળે તે દેશની આબરૂ માટે સારી બાબત નથી.
લેખક : પવન માકન, તંત્રી