વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી આવતા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ‘શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ’ દ્વારા સત્તાવાર મોબાઈલ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર અને ટ્રસ્ટના ચેરમેન દ્વારા આ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હવે ભક્તો ઘરબેઠા મંદિરની વિવિધ સેવાઓ અને માહિતી મેળવી શકશે.
Ambaji Temple Official એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર (play.google.com) અને એપલ એપ સ્ટોર પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે. જેમાં ભક્તો ઓનલાઇન ઘરે બેઠા મોહનથાળ પ્રસાદનું બુકિંગ કરાવી શકશે. જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન અને ભોજનાલય માટે દાન આપવાની સુવિધા છે. એટલે કે ભક્તો ડિજિટલ દાન કરી શકશે.

આ સાથે તેમાં મંદિરના દર્શન અને આરતીનો સમય પણ જાણી શકાશે. તો મંદિર સંબંધિત વસ્તુઓની ખરીદી માટે પણ ડિજિટલ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકાશે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો અને સેવા કેમ્પનું ઓનલાઇન રજીસ્ટ્રેશનની સુવિધા પણ મળશે.
અંબાજી મંદિરમાં દર વર્ષે અંદાજે 1.20 કરોડ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થાય છે અને કરોડોનું દાન આવે છે. આ તમામ પ્રક્રિયાને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર સાથે જોડવા માટે આ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. ટેકનોલોજીના ઉપયોગથી વ્યવસ્થા વધુ સુગમ બનશે અને વહીવટી પારદર્શિતામાં વધારો થશે.ખાસ વાત એ છે કે, આ એપ્લિકેશન એક માઈભક્ત દ્વારા નિઃશુલ્ક તૈયાર કરી આપવામાં આવી છે. આગામી સમયમાં યાત્રિકો માટે આ એપ દર્શન અને વ્યવસ્થાના આયોજનમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.


