HomeGujaratBanaskantha : શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે...

Banaskantha : શાળામાં તાળાં કે ઈવેન્ટમાં તાળીઓ? બનાસકાંઠામાં 1800 શિક્ષિકાઓની ભણાવવાને બદલે PMના કાર્યક્રમમાં હાજરી

ગુજરાતમાં એક તરફ ગુણવત્તાયુક્ત શિક્ષણના દાવા કરવામાં આવે છે, તો બીજી તરફ સરકારી કાર્યક્રમોમાં ભીડ એકઠી કરવા માટે શિક્ષણ જગતનો જ ભોગ લેવાતો હોવાની વરવી વાસ્તવિકતા સામે આવી છે. બનાસકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના એક લેટેસ્ટ પરિપત્રએ વિવાદ છેડ્યો છે, જેમાં હજારો મહિલા શિક્ષિકાઓને શાળા છોડી વડાપ્રધાનના કાર્યક્રમમાં હાજર રહેવા આદેશ કરાયો છે.

બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓમાંથી કુલ 4374 મહિલા શિક્ષિકાઓની વિગતો મંગાવવામાં આવી છે. આ પૈકી 1800 શિક્ષિકાઓને ફરજિયાતપણે કાર્યક્રમ સ્થળે હાજર રાખવા માટે સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. આ શિક્ષિકાઓએ બાળકોને ભણાવવાને બદલે VIP અને VVIP બેઠક વ્યવસ્થામાં હાજર રહેવાનું રહેશે. નોડલ અધિકારીઓને આ શિક્ષિકાઓને લાવવા-લઈ જવાની અને બેઠક વ્યવસ્થા જાળવવાની જવાબદારી સોંપવામાં આવી છે.

જ્યારે હજારો શિક્ષિકાઓ એકસાથે શૈક્ષણિક કાર્ય છોડીને સરકારી ઇવેન્ટમાં જોડાશે, ત્યારે તે દિવસે શાળાઓમાં અભ્યાસ કરતા હજારો નિર્દોષ બાળકોના શિક્ષણનું શું? આ પ્રશ્ન હાલ વાલીઓ અને શિક્ષણવિદોમાં ચર્ચાનો વિષય બન્યો છે. શું શિક્ષણ વિભાગનું કામ ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાનું છે કે પછી માત્ર રાજકીય કાર્યક્રમોમાં પ્રેક્ષકોની સંખ્યા વધારવાનું?

એક તરફ રાજ્યની અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ હોવાની બૂમો ઊઠી રહી છે, ત્યારે બીજી તરફ હાજર શિક્ષકોને પણ બિન-શૈક્ષણિક કામોમાં જોતરવામાં આવી રહ્યા છે. જાહેર જનતાના ટેક્સના પૈસે ચાલતા તંત્રનો ઉપયોગ જ્યારે આ પ્રકારે ‘ભીડ વધારવાના સાધન’ તરીકે થાય, ત્યારે તે લોકશાહીની ગરિમા સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા કરે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments