ભરૂચ જીલ્લાના વાલીયા પંથકમાં ગઈકાલે સાંજે પવનના સુસવાટા સાથે ભારે વરસાદ પડ્યો હતો. આ સમય દરમિયાન વાલીયા-ઝઘડીયા માર્ગ પર બે સ્થળે વૃક્ષો ધરાશાયી થયા હતા. વન વિભાગની કચેરી સામે અને નીલકંઠ સોસાયટી પાસે મુખ્ય માર્ગને અડીને આવેલા વૃક્ષો પડી જતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. વાલીયા પોલીસ મથકના P.I એમ.બી. તોમરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના અજિતભાઈ, મનોજભાઈ, નિશાંતભાઈ, કૌશિકભાઈ અને સંદીપભાઈ સહિતના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. વન વિભાગના બીટ ગાર્ડ દિનેશ રાઠવા પણ તેમની સાથે જોડાયા હતા. ટીમે JCB અને અન્ય વાહનોની મદદથી બંને વૃક્ષોને માર્ગ પરથી હટાવી દીધા હતા. આ કામગીરીને કારણે વાહન વ્યવહાર પુનઃ શરૂ થઈ શક્યો હતો. રાહદારીઓએ પોલીસ અને વન વિભાગની આ ત્વરિત કામગીરીની પ્રશંસા કરી હતી.
કેતન મહેતા, અંકલેશ્વર