E-Paper
Sunday, June 8, 2025
E-Paper
HomeGujaratBharuch : દહેજ LNG પેટ્રોનેટ ખાતે 'ઓપરેશન શિલ્ડ' અંતર્ગત યોજાઈ હવાઇ હુમલા...

Bharuch : દહેજ LNG પેટ્રોનેટ ખાતે ‘ઓપરેશન શિલ્ડ’ અંતર્ગત યોજાઈ હવાઇ હુમલા અંગે મોકડ્રિલ

ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત એલ.એન.જી પેટ્રોનેટ એકમ ખાતે ડ્રોન દ્નારા હવાઇ હુમલો થતાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્રે તત્કાલ “ઓપરેશન શિલ્ડ” અન્વયે રાહત બચાવની કામગીરી શરૂ કરી હતી. એલ.એન.જી પેટ્રોનેટ પર ડ્રોન હુમલા બાદ નાગરિકોને સલામત સ્થળે ખસેડવાથી લઇને ઘાયલ નાગરિકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. મેડિકલ ટીમ દ્વારા ઘાયલોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરાઇ હતી. “ઓપરેશન શિલ્ડ”હેઠળ ‘એર રેઇડ સાયરન’ સંબંધિત મોકડ્રિલનું દહેજ એલ.એન.જી પેટ્રોનેટ ખાતે આયોજન કરાયું હતું. ‘ઓપરેશન શિલ્ડ અભ્યાસ’ અન્વયે યોજાયેલી મોકડ્રિલનો મુખ્ય ઉદ્દેશ્ય કોઈપણ પ્રકારના હવાઈ હુમલાની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત રાખવા અને અસરકારક નાગરિક સંરક્ષણ સુનિશ્ચિત કરવાનો હતો. યુદ્ધ જેવી આકસ્મિક સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા હેતુ હુમલાનો પ્લાન મોકડ્રિલ હેઠળ તૈયાર કરીને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો.

એલ.એન.જી પેટ્રોનેટ પર ડ્રોન દ્વારા હવાઇ હુમલા અંગે એલ.એન.જી પેટ્રોનેટથી નાગરિક સંરક્ષણ કંટ્રોલરૂમ ખાતે “એર રેઇડ”નો હોટ લાઇનથી સંદેશો મળતા જ નિયંત્રક દ્વારા તત્કાલ સાયરનની મદદથી લોકોને ખતરા વિશે સચેત કરાયા હતા. ઉપરાંત નાગરિક સંરક્ષણની તમામ સેવાઓને જરૂરી આદેશ ઉપરાંત ઉચ્ચકક્ષાએ કોમ્યુનિકેશન માટે જરૂરી વ્યવસ્થા, સુનિશ્ચિત જરૂરી આદેશ આપવામાં આવ્યા હતા. એર રેઇડ સિગ્નલ મળતા બચાવ-રાહત માટે તમામ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. એકમમાં કામ કરતા લોકોને સલામત સ્થળે પહોંચાડવા તથા જે નાગરિકો નથી પહોંચી શક્યા તેઓની સલામતી સુનિશ્ચિત કરવા પોલીસ, રાહત-બચાવની કામગીરી આરંભી ઘટના સ્થળને સિક્યોર કર્યું હતું. હવાઇ હુમલાનો સંદેશ મળતા જ રેસ્ક્યુ કામગીરી સાથે ફર્સ્ટ એઇડ પાર્ટી દ્વારા ઘટના સ્થળે પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી હતી.

એર રેઇડમાં સલામત રહેલા લોકોને સ્થળાંતરિત કરીને તંત્ર દ્વારા તત્કાલ સલામત સ્થળે પહોંચાડવા સાથે આ ઘટના દરમ્યાન ૯ જેટલા લોકો ઘાયલ થયા હતા. વધુ ઘાયલ નાગરિકોને નજીક આવેલી જોલવા હોસ્પિટલ ખાતે, સામાન્ય ઈજાગ્રસ્તોને એલ.એન.જી પેટ્રોનેટના ઓ.એચ.સી. સેન્ટર ઉપર તેમજ અન્ય નાગરિકોને ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા એર રેઇડથી સલામત રહેલા નાગરિકોને ઇવેક્યુએટ કરીને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જ્યાં શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવેલા લોકો માટે તમામ પ્રાથમિક સુવિધા ઉભી કરાઇ હતી. આ ઘટના સાથે એલ.એન.જી પેટ્રોનેટમાં અન્ય બીજી ઘટના પણ બની હતી. દરિયાઈ માર્ગે આવેલા આંતકવાદીઓએ એલ.એન.જી પેટ્રોનેટની જેટીથી ઘુસણખોરી કરી અંધાધૂધ ફાયરીંગ શરૂ કરી દીધું હતું. આંતકવાદીઓએ અચાનક ગોળીબારી શરૂ કરતા સામે પોલીસ જવાનઓએ પણ જવાબી કાર્યવાહી કરી, ફાયરીંગ કર્યું હતું. આ જવાબી કાર્યવાહીમાં બે આંતકવાદીઓ ઠાર મરાયા હતા. અન્ય બે આંતકવાદીઓને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.

આ કાર્યવાહી દરમ્યાન આંતકવાદીઓએ નાખેલો જીવતો બોમ્બ પણ મળી આવ્યો હતો. જેના પર બોમ્બ સ્કોડ દ્વારા “બોમ્બ બેન્કેટ” નાખી દેવામાં આવતા મોટી જાનહાની ટળી હતી. આ ઉપરાંત, એલ.એન.જી પેટ્રોનેટના કોમ્યુટર સર્વર પર આંતકવાદીઓ દ્નારા સાયબર એટેક કરવામાં હતો. આ એટેક દરમ્યાન સર્વરમાં મલ્ટીપલ લોગીંગ થયા હતા. જેને તુરંત જ એક્સપર્ટ દ્નારા ડીફંક્સન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે, આ મોકડ્રિલ જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ દ્વારા વિભાગોના સંકલનમાં રહીને યોજવામાં આવી હતી. જેથી સંભવિત યુદ્ધની સ્થિતિમાં તમામ મદદ અને રાહત બચાવના પગલાંઓ ઝડપથી લઈ શકાય અને હવાઇ હુમલાની સ્થિતિમાં જાનહાનીને ટાળી શકાય. આ મોકડ્રિલ હેઠળ તમામ પોલીસ વિભાગ, સારવાર વ્યવસ્થાપન તથા વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓનો વાસ્તવિક અભ્યાસ કરવામાં આવ્યો હતો. આકસ્મિક યુધ્ધ, હવાઇ હુમલા જેવી સ્થિતિમાં નાગરિકોની સુરક્ષાની સુનિશ્ચિતા તથા જાગૃત્તતા માટે યોજાયેલી મોકડ્રીલ પહેલા ઉપસ્થિત તમામ અધિકારીઓ અને રાહત બચાવના કર્મચારીઓ માટે ટેબલ ટોપ એક્સરસાઇઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોકડ્રિલનું મહત્વ, પરિસરમાં ઉપલબ્ધ સુવિધાઓ અને મોકડ્રિલ સિનારીયો અને લોકેશન વિશે જાણકારી આપવામાં આવી હતી.

મોકડ્રિલ બાદ યોજાયેલ ડી-બ્રિફિંગમાં નાગરિક સંરક્ષણ દ્વારા લોકોને સ્વબચાવની જાણકારી આપવામાં આવી હતી. ઉપસ્થિત નિરિક્ષકોએ મોકડ્રિલ સમયે કરવામાં આવેલી તાત્કાલિક કામગીરી અને નિર્ણયો વિશે પોતાના અભિપ્રાયો જણાવીને સમગ્ર મોકડ્રીલમાં ભાગ લેનાર વહીવટીતંત્રની ટીમને અભિનંદન આપ્યા હતા. સિવિલ ડિફેન્સના કંટ્રોલર અને નાયબ કલેક્ટર મનિષા મનાણીએ મોકડ્રિલ દરમિયાન ઉપસ્થિત રહીને જરૂરી આકસ્મિક પરિસ્થિતિમાં લેવામાં આવેલા નિર્ણયોને બિરદાવીને સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા. મોકડ્રિલને સફળ ગણાવી સરકારની અદ્યતન માર્ગદર્શિકા પ્રમાણે કામ કરવા અનુરોધ કર્યો હતો. આ મોકડ્રીલ દરમિયાન મામલતદાર, પોલીસ ઇન્સ્પેક્ટર, ફાયર ઓફિસર સાથે આરોગ્ય વિભાગ, અન્ય વિવિધ વિભાગો અને એલ.એન.જી પેટ્રોનેટના કર્મચારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Reporter : કેતન મહેતા, દહેજ, ભરૂચ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments