ભરૂચ નગરપાલિકાએ વિશ્વ પર્યાવરણ દિવસે ‘અમૃત મિત્ર’ યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ પાંચ સખી મંડળની 15 મહિલાઓએ STP ખાતે વૃક્ષારોપણ કર્યું છે. આ મહિલાઓ આગામી બે વર્ષ સુધી વૃક્ષોની સંભાળ લેશે.
ભારત સરકારના ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘એક પેડ મા કે નામ’ અભિયાનથી પ્રેરણા લઈને ભરૂચ નગરપાલિકાએ ‘અમૃત મિત્ર’ યોજના શરૂ કરી છે. આ યોજના AMRUT 2.0 અને DAY-NULM કાર્યક્રમના સહયોગથી બે વર્ષ માટે ચલાવવામાં આવશે.
આ કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, સેક્રેટરી કલ્પના ઉપાધ્યાય અને વોટર વર્ક્સના એન્જિનિયર વિશ્વજીત રાઠોડ હાજર રહ્યા હતા. ગેલાની કુવા પાસેના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
‘વૃક્ષો માટે મહિલાઓ’ અભિયાન હેઠળ જય માતાજી, સિદ્ધિ વિનાયક, સારથી, શિવ અને ત્ર્યંબકેશ્વર સખી મંડળની કુલ 15 મહિલાઓની પસંદગી કરવામાં આવી છે. આ મહિલાઓએ 200 જેટલા વિવિધ વૃક્ષોનું રોપણ કર્યું છે.
આગામી બે વર્ષ સુધી આ મહિલાઓ વૃક્ષોની દેખરેખ અને સંભાળ રાખશે. તેમને આ કામ માટે મહેનતાણું પણ આપવામાં આવશે. આ યોજના માત્ર હરિયાળા ભારતના નિર્માણ માટે જ નહીં, પરંતુ મહિલા સશક્તિકરણ અને ટકાઉ વિકાસ માટે પણ મહત્વપૂર્ણ પગલું બની રહેશે.