ભરૂચ જિલ્લાના કરમાડ ગામમાં વર્ષ 2019માં થયેલી હત્યાના કેસમાં આરોપીને સેશન્સ કોર્ટે આજીવન કેદની સજા સાથે રૂપિયા 50,000નો દંડ ફટકાર્યો છે.

20 એપ્રિલ, 2019ના રોજ કરમાડ ગામના નવી નગરી વ્હાલુ ફળિયામાં આરોપી નરેન્દ્ર ઉર્ફે મુન્નો કરશનભાઈ વસાવાએ કમલેશ માનસિંહભાઈ વસાવાની હત્યા કરી હતી. નરેન્દ્રએ કમલેશને તેની પત્ની રેખાને શોધવા માટે ઘરે આવવા બાબતે ઝઘડો કર્યો હતો. આરોપીએ કુહાડી વડે કમલેશના માથાના જમણા કાનની ઉપર ઘા ઝીંક્યો હતો. ગંભીર રીતે ઘાયલ કમલેશને રોડ પર ફેંકી દેવામાં આવ્યો હતો. કમલેશનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું. ભરૂચ તાલુકા પોલીસે આ કેસની તપાસ હાથ ધરી હતી. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી.વાધેલાએ પૂરતા પુરાવા સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. બીજા એડિશનલ સેશન્સ જજ ઈ.એમ.શેખની કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સરકારી વકીલ મનોહરસિંહજી રાઠોડે 14 સાક્ષીઓની જુબાની અને 21 દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. સરકારી પક્ષે આરોપીએ પૂર્વયોજિત રીતે હત્યા કરી હોવાનું સાબિત કર્યું હતું. તમામ પુરાવાઓની ચકાસણી બાદ કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.
Reporter : કેતન મહેતા, ભરૂચ