ભરૂચમાં ભારે પવન સાથે વરસાદ ફરી એકવાર વરસતા લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. ભારે પવન સાથે આવેલા વરસાદથી વીજપોલ સહિત અનેક ઘટાદાર વૃક્ષો ધરાશાયી થવા સાથે જડમૂળમાંથી ઉખડી ગયા હતા. જોકે, સદનસીબે આ ઘટનાઓમાં કોઈપણ વ્યક્તિ કે પશુને કોઈ પણ પ્રકારની ઇજા થઇ નથી, પરંતુ વરસાદના લીધે હાલ લોકોને ઘણું નુકસાન થયું છે. ભારત મૌસમ વિભાગની આગાહી મુજબ 18 થી 24 જૂન દરમ્યાન ભરૂચ જિલ્લાનું હવામાન આંશિક ભેજવાળું અને મોટા ભાગે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેવાની શક્યતા છે અને તોફાની પવન અને વીજળીના ચમકારા સાથે હળવાથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. મહતમ તાપમાન 36 થી 37 ડિગ્રી સે. તથા લઘુતમ તાપમાન 26 થી 27 ડિગ્રી સે તથા હવામાં ભેજનું પ્રમાણ 50 થી 95 ટકા રહેવાની શક્યતા છે. પવનની ઝડપ 1 થી 11 કિમી/કલાક તેમજ પવનની દિશા મોટેભાગે દક્ષિણ–પશ્ચિમ તરફ રહેવાની શક્યતા છે.
ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં અલગ-અલગ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે, જેમ કે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલી. તંત્રે નાગરિકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા અને સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે. લોકોને હવામાન વિભાગ અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. કોઈપણ આપાતકાલીન પરિસ્થિતિમાં ભરૂચ જિલ્લાવાસીઓ ભરૂચ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમનો ફોન નંબર 02642-242300 અથવા ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરી શકે છે.
રાસાયણિક ખાતર અને કેમિકલનો છંટકાવ હાલ મુલત્વી રાખો, ખેતરમાં પાણી ભરાઈ ન રહે તે માટે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવી, પશુઓને વૃક્ષ નીચે ન બાંધવા, પશુઓનું રહેઠાણ ચોખ્ખું રાખવું, ઇતરડી જેવા રોગો માટે નજીકના પશુ દવાખાનાનો સંપર્ક કરવો ચોમાસા અને અતિભારે વરસાદ દરમિયાન પશુઓ અને વાછરડાઓ પલળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું, અતિભારે વરસાદની આગાહી હોવાથી હમણાં ખેતીકાર્યો મુલત્વી રાખવા, ફક્ત ચોમાસાના પાકોની વાવણી કરવી.
રિપોર્ટર : કેતન મહેતા, ભરૂચ