બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ આક્ષેપ કર્યો છે કે, જેલમાં બંધ જયરાજ આહીરને જેલ પ્રશાસન દ્વારા સ્પેશિયલ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.ભાવનગરની જિલ્લા જેલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે. બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયાએ એક વીડિયો વાયરલ કરીને આક્ષેપ કર્યો છે કે, જેલમાં બંધ જયરાજ આહીરને જેલ પ્રશાસન દ્વારા સ્પેશિયલ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આ મામલે તેમણે ઉચ્ચ કક્ષાએ પત્ર લખી તપાસની માંગ કરી છે.
બગદાણાના પૂર્વ સરપંચ નવનીત બાલધિયા પર થયેલા હુમલાના કેસમાં લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીર સહિત 14 વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ આ કેસમાં જયરાજ આહીર ભાવનગર જિલ્લા જેલમાં ન્યાયિક કસ્ટડી હેઠળ છે.જેલના નિયમોનું ઉલ્લંઘન કરીને જયરાજ આહીરને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે. જો જેલના સીસીટીવી ફૂટેજની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો આ VIP સુવિધાનું સત્ય બહાર આવી શકે તેમ છે. જેલના અધિકારીઓની મીલીભગતથી જ આવી સુવિધાઓ શક્ય હોવાનું વીડિયોમાં જણાવાયું છે.

માત્ર વીડિયો વાયરલ કરવા પૂરતું સીમિત ન રહેતા, પીડિત નવનીત બાલધિયાએ આ બાબતે કડક કાર્યવાહી માટે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો સંપર્ક કર્યો છે. તેમણે DGP (જેલ વિભાગ), DIG (જેલ વિભાગ રેન્જ), જેલ અધિક્ષક, ભાવનગર વિભાગોને લેખિત પત્ર પાઠવ્યો છે.ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં નવનીત બાલધિયા પર થયેલા હુમલાએ ભારે ચકચાર જગાવી હતી અને કોળી સમાજમાં પણ આ અંગે રોષ જોવા મળ્યો હતો. હવે જેલની અંદર આરોપીને મળી રહેલી કથિત સુવિધાઓએ નવો વિવાદ છેડ્યો છે.


