ભાવનગર-અમદાવાદ હાઈવે પર સનેસ ગામ નજીક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. રાજપરા ખોડિયાર જઈ રહેલા સંઘના પદયાત્રીને ટ્રકે અડફેટે લેતા ઘટનાસ્થળે મોત થયું છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર થઈ ગયો હતો.
ભાવનગર-અમદાવાદ હાઈવે ફરી એકવાર રક્તરંજિત બન્યો છે. ભાલ પંથકના સનેસ ગામ નજીક એક ગંભીર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં પગપાળા જઈ રહેલા એક શ્રદ્ધાળુનું ટ્રકની અડફેટે આવતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રક ચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની મળતી માહિતી અનુસાર, આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના કંકાપુર ગામથી શ્રદ્ધાળુઓનો એક સંઘ પગપાળા ભાવનગરના પ્રસિદ્ધ રાજપરા ખોડિયાર મંદિર ખાતે દર્શનાર્થે જઈ રહ્યો હતો. આ સંઘ જ્યારે ભાલ વિસ્તારના સનેસ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે પૂરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલકે એક પદયાત્રીને જોરદાર અડફેટે લીધો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે શ્રદ્ધાળુનું સ્થળ પર જ પ્રાણપંખેરુ ઉડી ગયું હતું.

અકસ્માત બાદ માનવતા દાખવવાને બદલે ટ્રક ચાલક અંધારાનો લાભ લઈને અથવા તક જોઈને ટ્રક સાથે ત્યાંથી નાસી છૂટ્યો હતો. ભાવનગર-અમદાવાદ હાઈવે પર પદયાત્રીઓ અને નાના વાહનો માટે જોખમ સતત વધી રહ્યું છે. અવારનવાર બનતી હિટ એન્ડ રનની ઘટનાઓને પગલે હાઈવે પર પોલીસ પેટ્રોલિંગ અને વાહનોની ગતિ મર્યાદા પર અંકુશ લાવવા માટે ફરી સવાલો ઉભા થયા છે.
ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને સંઘના અન્ય સભ્યો એકઠા થઈ ગયા હતા. પોલીસ કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પોસ્ટ મોર્ટમના અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે ટ્રક ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી, હાઈવે પરના સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતોના આધારે ફરાર ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી છે. શ્રદ્ધાળુના મોતના સમાચારથી કંકાપુર ગામ અને પદયાત્રી સંઘમાં શોકનું મોજું ફરી વળ્યું છે.


