ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતું અને 1890 માં રાજવી ભગવતસિંહજી દ્વારા સ્થાપિત જેતલસર જંકશન આજે વહીવટી ઉપેક્ષાનો શિકાર બન્યું છે.ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતું અને 1890 માં રાજવી ભગવતસિંહજી દ્વારા સ્થાપિત જેતલસર જંકશન આજે વહીવટી ઉપેક્ષાનો શિકાર બન્યું છે. ગુજરાતના એકમાત્ર ‘ફોરવે’ જંકશન તરીકે ઓળખાતા આ સ્ટેશનના કર્મચારીઓની સામૂહિક બદલીના વિરોધમાં આજે જેતલસરના વેપારી મંડળ, ગ્રામજનો અને પૂર્વ કર્મચારીઓએ રેલવે પ્રશાસન સામે મોરચો માંડ્યો છે.
એક સમયે 2500 કર્મચારીઓ અને 18 લાઈનો ધરાવતું આ જંકશન દેશના ગણ્યાગાંઠ્યા ૮ ફોરવે જંકશનોમાંનું એક છે. જોકે, તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા મોટાભાગના સ્ટાફની બદલી કરી દેવામાં આવતા હવે માત્ર 250-300 કર્મચારીઓ જ બચ્યા છે. સરપંચ આરતીબેન સરવૈયા અને પૂર્વ સરપંચ મનુબેન વાંકે આક્ષેપ કર્યો છે કે આ બદલીઓને કારણે 19,000 ની વસ્તી ધરાવતું ગામ હવે ઉજ્જડ બની રહ્યું છે અને સ્થાનિક વેપાર-રોજગાર ભાંગી પડ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, જેતલસર ખાતે 970 રેલવે ક્વાર્ટર ઉપલબ્ધ છે, જેનું હાલ રૂ. 7.26 કરોડના ખર્ચે રિનોવેશન ચાલી રહ્યું છે. જો કર્મચારીઓ અહીં નહીં રહે તો આ સરકારી નાણાં પાણીમાં જશે. વધુમાં, રાજકોટ જેવા શહેરોમાં બદલી કરવાથી રેલવેએ વધુ એચ.આર.એ. (HRA) ચૂકવવું પડે છે, જેનાથી તિજોરી પર દર મહિને લાખો રૂપિયાનું ભારણ વધે છે.
રેલવે પ્રશાસન દ્વારા જંકશનના વિકાસને બદલે વિનાશ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આજે સ્ટેશન માસ્તરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે: જ્યાં સુધી કર્મચારીઓની બદલી રદ નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની ભૂખ હડતાળ ચાલુ રહેશે. આગામી તમામ ચૂંટણીઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે. અહીં વિશાળ જગ્યા હોવા છતાં વોશિંગ ઘાટ કે ડીઝલ શેડ બનાવવાને બદલે તંત્ર દ્વારા લેવાયેલા નકારાત્મક નિર્ણયો સામે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


