ભરૂચ શહેર અને જિલ્લામાં 7મી જૂને મનાવવામાં આવનાર બકરી ઈદના તહેવારને લઈને ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ મથકે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પી.આઈ આર.એમ. વસાવાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, ભરૂચ શહેરમાં અત્યાર સુધી તમામ ધાર્મિક તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાયા છે. બકરી ઈદની ઉજવણી પણ એવી જ રીતે થાય તે માટે હિંદુ-મુસ્લિમ બંને સમાજના પ્રતિનિધિઓને સહયોગની અપીલ કરવામાં આવી હતી. બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમુદાયના આગેવાનો તેમજ શાંતિ સમિતિના સભ્યોએ હાજરી આપી હતી. તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર તહેવાર કોમી એકતા અને સદભાવનાના માહોલમાં ઉજવાય તે માટે સૌએ સહમતિ દર્શાવી હતી.
કેતન મહેતા, ભરૂચ