પીએમ મોદી પોતાના ત્રીજા કાર્યકાળના એક વર્ષ પૂર્ણ થયાના અગાઉ કેન્દ્રીય મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરવાના છે. જેમાં તમામ કેન્દ્રીય મંત્રીઓ ઉપસ્થિત રહેશે. આગળ હવે રણનીતિ શું રહેશે તેની પર ચર્ચા કરાશે. મોદી 3.0ની મંત્રી પરિષદની આ બેઠક 4 જૂનના રોજ સાંજે 4.30 કલાકે સુષ્મા સ્વરાજ ભવનમાં આયોજિત થશે જેની અધ્યક્ષતા પીએમ મોદી કરશે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આ બેઠકમાં ઓપરેશન સિંદૂરને લઇને પણ વિશેષ ચર્ચા થવાની સંભાવના છે. પીએમ મોદી સૈન્ય અભિયાનને સરકારના નિર્ણાયક નેતૃત્વ ક્ષમતા અને રાષ્ટ્રીય સુરક્ષામાં સશક્ત યોગદાન તરીકે જનતા વચ્ચે લાવવા પર બળ આપશે તેમ માનવામાં આવી રહ્યું છે. તમામ મંત્રીઓને નિર્દેશ આપી શકે છે કે ઓપરેશન સિંદૂરની સફળતા અને રાજદ્વારી, માનવતા વાદી પાસાઓને જનતા સુધી પહોંચાડવામાં આવે જેથી દેશભરમાં તેના પ્રત્યે જાગૃતિ અને ગર્વની ભાવના વધારે મજબૂત બની શકે.
આ બેઠકમાં કેન્દ્ર સરકાર છેલ્લા 11 વર્ષની ઉપલબ્ધિઓ અને જનહિતકારી કાર્યક્રમો અને યોજનાઓની સમીક્ષા કરશે. આ સાથે જ આગામી દિવસોમાં જનતાની વચ્ચે જઇને સરકારની નીતિઓ અને કાર્યો પર પ્રભાવી રૂપથી પ્રસ્તુત કરવાની યોજના પર પણ ગાઢ વિચાર કરાશે. બેઠકમાં છેલ્લા 11 વર્ષોમાં કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવેલી યોજનાઓ જેવી કે આયુષ્યમાન ભારત, પીએમ આવાસ યોજના, જળ જીવન મિશન, ડિઝિટલ ઇન્ડિયા , આત્મ નિર્ભર ભારત વગેરે જેવા કાર્યક્રમોને આગળ ધપાવવા પર જોર અપાશે.
સૂત્રોના કહ્યા મુજબ હવે કેન્દ્ર સરકાર જનભાગીદારીથી જનસંપર્કની રણનીતિ હેઠળ એક વિશેષ સંપર્ક અભિયાન શરૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. જેમાં કેન્દ્રીય મંત્રી, સાંસદ અને બીજેપી કાર્યકર્તા ઘરે ઘરે જઇને કેન્દ્ર સરકારની ઉપલબ્ધિોથી માહિતગાર કરશે.આ બેઠક આગામી ચૂંટણીને લઇને પણ અત્યંત મહત્વપૂર્ણ છે. 2025-26માં ઘણા રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ આવાવની છે. જેથી સરકારની જનસંપર્ક નીતિ અને રાજનીતિક સંદેશ નક્કી કરવામાં આ બેઠક ભૂમિકા નિભાવી શકે છે. આથી 4 જૂને થનારી આ બેઠક મોદી ઘણી જ મહત્વની રહેશે.