બોલિવૂડની બ્લોકબસ્ટર ફ્રેન્ચાઈઝી ‘દ્રશ્યમ’ના ત્રીજા ભાગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ‘દ્રશ્યમ 3’ માં આઈજી તરુણ અહલાવતનું પાત્ર ભજવનાર અક્ષય ખન્ના હવે આ ફિલ્મમાં જોવા મળશે નહીં. આ ઉપરાંત ફિલ્મ પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે અક્ષય ખન્ના સામે ગંભીર આક્ષેપો કર્યા છે અને તેમને કાનૂની નોટિસ પણ ફટકારી છે.
એક ઈન્ટરવ્યૂમાં પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે જણાવ્યા કે, ‘અક્ષય ખન્નાએ શૂટિંગ શરૂ થવાના માત્ર 10 દિવસ પહેલા ફિલ્મ છોડી દીધી હતી. જેના કારણે પ્રોડક્શન હાઉસને મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે. અક્ષય ખન્ના ફિલ્મમાં વિગ પહેરવા માંગતા હતા. જો કે, ડિરેક્ટર અભિષેક પાઠકે સમજાવ્યું હતું કે સિક્વલ હોવાથી લુકમાં ફેરફાર કરવાથી કન્ટિન્યૂટી જળવાશે નહીં. અક્ષય પહેલા માની ગયા હતા, પણ પછી અચાનક ફરી વિગની જીદ કરી હતી.

અક્ષય ખન્ના અંગે પ્રોડ્યુસર કુમાર મંગત પાઠકે જણાવ્યા કે, ‘અક્ષયે ‘દ્રશ્યમ 2’ અને ‘ધુરંધર’ની સફળતા પછી સફળતા માથે ચડી ગઈ છે, પોતાને સુપરસ્ટાર માનવાનું શરૂ કરી દીધું છે. તેની આસપાસના લોકો તેને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેણે ‘સેક્શન 375’ વખતે પણ આવું જ વર્તન કર્યું હતું. તેની એનર્જી સેટ પર ‘ટોક્સિક’ હોય છે. અક્ષયે કરાર કર્યા હોવા છતાં છેલ્લી ઘડીએ પીછેહઠ કરી છે.’
નિર્માતાએ પુષ્ટિ કરી છે કે હવે ફિલ્મમાં અક્ષય ખન્નાના સ્થાને પાવરહાઉસ એક્ટર જયદીપ અહલાવત (પાતાળ લોક ફેમ)ને કાસ્ટ કરવામાં આવ્યા છે. નિર્માતાઓનું માનવું છે કે જયદીપ આ રોલ માટે વધુ યોગ્ય છે અને તે પાત્રને નવો વળાંક આપશે.ઉલ્લેખનીય છે કે, કુમાર મંગત પાઠકે અક્ષય ખન્નાને લીગલ નોટિસ મોકલી છે અને થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે કાનૂની કાર્યવાહી કરવાની તૈયારી કરી છે. અત્યાર સુધી અક્ષય ખન્ના તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
મેકર્સે ફિલ્મ ‘દ્રશ્યમ 3’ને ગાંધી જયંતી એટલે કે 2 ઓક્ટોબર 2026ના દિવસે રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. જો તમે દ્રશ્યમ જોઈ છે તો તમને ખબર હશે કે 2 ઓક્ટોબરના રોજ શું થયું હતું? આ પ્લાન સાથે મેકર્સ આ તારીખ રાખી છે. ‘દ્રશ્યમ 3’નું ડાયરેક્શન અભિષેક પાઠકે કર્યું છે.


