મહાકુંભની વાયરલ ગર્લ મોનાલિસાએ મુસ્લિમ સાથે લગ્નએ ખૂબ જ ચર્ચા જગાવી છે. તેના પતિએ દાવો કર્યો હતો કે તે પુખ્ત વયની છે. તેને કોઇની વાતોમાં ફસાઇ નથી. જો કે હવે મોનાલિસાની ઉંમરને લઇને ચકચારી બાબત સામે આવી છે.
સોશિયલ મીડિયા પર ‘વાયરલ ગર્લ’ તરીકે જાણીતી બનેલી મોનાલિસા ભોંસલેના લગ્ન મામલે એક ચોંકાવનારો વળાંક આવ્યો છે. રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ (NCST) ની ઊંડી તપાસમાં બહાર આવ્યું છે કે મોનાલિસા પુખ્ત વયની નથી, પરંતુ કાયદેસર રીતે સગીર છે. આ ખુલાસા બાદ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાની મહેશ્વર પોલીસે મોનાલિસાના પતિ ફરમાન ખાન વિરુદ્ધ POCSO એક્ટ અને અન્ય ગંભીર કલમો હેઠળ FIR નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
NCST ના અધ્યક્ષ અંતર સિંહ આર્યના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી તપાસમાં એડવોકેટ પ્રથમ દુબેએ મહત્વની કાનૂની દલીલો રજૂ કરી હતી. તપાસ ટીમે કેરળથી લઈને મધ્યપ્રદેશ સુધીના દસ્તાવેજો ચકાસ્યા હતા. મહેશ્વર સરકારી હોસ્પિટલના રેકોર્ડ મુજબ મોનાલિસાનો જન્મ 30 ડિસેમ્બર, 2009 ના રોજ થયો હતો.

આ હિસાબે માર્ચ 2026 માં જ્યારે તેના લગ્ન થયા, ત્યારે તેની ઉંમર માત્ર 16 વર્ષ, 2 મહિના અને 12 દિવસ હતી. અગાઉ લગ્ન માટે રજૂ કરવામાં આવેલું જન્મ પ્રમાણપત્ર (જેમાં જન્મતારીખ 1 જાન્યુઆરી, 2008 દર્શાવવામાં આવી હતી) બનાવટી હોવાનું સાબિત થયું છે, જેને હવે રદ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એડવોકેટ પ્રથમ દુબેએ કમિશન સમક્ષ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ માત્ર લગ્નનો મામલો નથી, પરંતુ એક સુનિયોજિત વ્યૂહરચના છે. તેમણે આ કેસમાં કેરળના કેટલાક રાજકીય નેતાઓ અને PFI જેવા સંગઠનોની ભૂમિકા હોવાની આશંકા વ્યક્ત કરી છે. ફરિયાદ મુજબ, એક ચોક્કસ ‘નેરેટિવ’ સેટ કરવા માટે સગીર છોકરીને પુખ્ત ગણાવીને લગ્ન કરાવવામાં આવ્યા હતા.
મોનાલિસા પારધી આદિવાસી સમુદાયની હોવાથી, આરોપી ફરમાન ખાન વિરુદ્ધ નીચે મુજબની કલમો લાગુ કરવામાં આવી છે:
POCSO એક્ટ: સગીર સાથેના જાતીય અપરાધો અને લગ્ન બદલ.
SC/ST અત્યાચાર નિવારણ અધિનિયમ: અનુસૂચિત જનજાતિની યુવતી સાથે અન્યાય કરવા બદલ.
BNS (ભારતીય ન્યાય સંહિતા): ગુનાહિત કાવતરું અને છેતરપિંડીના આધારે લગ્ન
NCST એ આ ઘટનાને અત્યંત ગંભીરતાથી લીધી છે. કમિશને 22 એપ્રિલ, 2026 ના રોજ મધ્યપ્રદેશ અને કેરળના પોલીસ વડાઓ (DGPs) ને દિલ્હી મુખ્યાલયમાં હાજર થવા સમન્સ પાઠવ્યા છે. આ સાથે જ બંને રાજ્યોની પોલીસ પાસેથી આગામી ત્રણ દિવસમાં તપાસનો પ્રગતિ અહેવાલ માંગવામાં આવ્યો છે. કમિશને સ્પષ્ટ કર્યું છે કે સગીર આદિવાસી દીકરીને ન્યાય ન મળે ત્યાં સુધી તપાસ પર સીધી દેખરેખ રાખવામાં આવશે.


