90નો દાયકો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે અત્યંત કપરો અને ભયાનક ગણાતો હતો. આ એ સમય હતો જ્યારે બોલિવૂડમાં અંડરવર્લ્ડનો સિક્કો ચાલતો હતો અને અનેક કલાકારો તેમજ નિર્માતાઓને ધમકીભર્યા ફોન કોલ્સ આવતા હતા. જોકે, જાણીતા ડાયરેક્ટર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં એક આશ્ચર્યજનક ખુલાસો કરતા જણાવ્યું છે કે, તેને ક્યારેય અંડરવર્લ્ડ તરફથી કોઈ ધમકી મળી નથી. તેમના મતે, ગેંગસ્ટર્સને તેમની ફિલ્મો ‘સત્યા’ અને ‘કંપની’ ખૂબ જ પસંદ આવી હતી, જેને કારણે તેઓ તેને પરેશાન કરવાના બદલે એક પ્રકારે તેમના ‘સોલમેટ’ બની ગયા હતા
રામ ગોપાલ વર્માએ તાજેતરમાં પોતાની ઓટોબાયોગ્રાફી ‘ગન્સ એન્ડ થાઈઝ’ વિશે વાત કરતા એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે, તે આ પુસ્તક અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને સમર્પિત કરવા માંગતા હતા, પરંતુ પબ્લિશર્સે તેનું નામ હટાવી દીધું હતું. રામ ગોપાલ વર્માનું માનવું છે કે જો દાઉદ ઇબ્રાહિમ ન હોત, તો તે ‘સત્યા’ અને ‘કંપની’ જેવી આઈકોનિક ફિલ્મો ક્યારેય બનાવી શક્યા ન હોત. તેઓ સ્પષ્ટપણે માને છે કે આ ફિલ્મોને કારણે જ આજે તેની રોજીરોટી ચાલી રહી છે, તેથી તેનો શ્રેય તે દાઉદને આપવા માંગતા હતા.

મુંબઈ પોલીસના ભૂતપૂર્વ અધિકારી ડી. શિવાનંદને અગાઉ સંકેત આપ્યો હતો કે ગેંગસ્ટર જીવન પર બનેલી ઘણી ફિલ્મોને તે જ લોકો દ્વારા ફંડ આપવામાં આવ્યું હતું જેમની વાર્તા પડદા પર બતાવવામાં આવી હતી. રામ ગોપાલ વર્માએ પણ આ વાતનો સ્વીકાર કરતા દાવો કર્યો છે કે ‘સત્યા’, ‘કંપની’, ‘શૂટઆઉટ એટ વડાલા’ અને ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ જેવી ફિલ્મોને ગેંગસ્ટરોએ ફાઇનાન્સ કરી હતી. તેમના મતે, આ ફિલ્મોએ ક્યાંકને ક્યાંક તેમની છબીને નરમ કરવામાં કે બદલવામાં મદદ કરી હતી. એટલું જ નહીં, ‘દીવાર’ અને ‘મુકદ્દર કા સિકંદર’ જેવી જૂની ફિલ્મોને પણ આ પ્રકારનો સપોર્ટ મળ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.


