બોલિવૂડના સ્ટાર કોમેડિયન રાજપાલ યાદવ હાલમાં ચેક બાઉન્સ કેસને કારણે કાયદાકીય મુશ્કેલીમાં સપડાયા છે. આ કેસ 15 વર્ષ જૂનો છે. 2010માં રાજપાલ યાદવે પોતાની ફિલ્મ ‘અતા પતા લાપતા’ બનાવવા માટે દિલ્હીના એક બિઝનેસમેન (મુરાલી પ્રોજેક્ટ્સ) પાસેથી 5 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ લોલ ચૂકવવામાં અસમર્થ હોવાના કારણે રાજપાલ યાદવે 5 ફેબ્રુઆરી, 2026ના રોજ દિલ્હીની તિહાર જેલમાં અધિકારીઓ સામે આત્મસમર્પણ કરવું પડ્યું હતું. આજે તેમની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી છે. જ્યાં લોન ન ચૂકવવાના કારણે હાઈકોર્ટે રાજપાલ યાદવને ફિટકાર લગાવી છે.
દિલ્હી હાઈકોર્ટે રાજપાલ યાદવને પૂછ્યું કે, તમે પોતાની સજા રદ કરવાની માગ શા માટે કરી રહ્યા છો? જ્યારે તમે ખુદ એ વાત સ્વીકાર કરી ચૂક્યા છો કે, તમે પૈસા ઉધાર લીધા હતા. તમે ગુનો કબૂલ કર્યો હતો અને ચૂકવણી કરવાનું વચન આપ્યું હતું. હવે જ્યારે તમને સજા ફટકારવામાં આવી છે, તો તમે સજા રોકવાની વાત કરી રહ્યા છો.
રાજપાલ યાદવના વકીલે કહ્યું કે, અમે એ જ તારીખે કહ્યું હતું કે, અમે મામલો સેટલ કરવા માગીએ છીએ. રાજપાલે કોર્ટમાં કહેલા પોતાના શબ્દોનું માન રાખવા માટે આત્મસમર્પણ કર્યું છે. ફિલ્મમાં જે 5 કરોડની રકમ ઈન્વેસ્ટ કરી હતી, તે ચૂકવવા માગીએ છીએ. 3 કરોડથી વધુની રકમ ચૂકવી દેવામાં આવી છે.

હાઈકોર્ટે કહ્યું કે, ‘મને એ નથી સમજાતું કે આ ચર્ચા શા માટે થઈ રહી છે? તમે અરજી દાખલ કરી હતી. જજે કહ્યું હતું કે, તેઓ હસ્તક્ષેપ નહીં કરશે. તમે કહ્યું હતું કે, તમે પૈસા ચૂકવશો. પછી વર્ષો સુધી તમે પૈસા ન ચૂકવ્યા. આદેશની અવગણનાના કારણે તમારે આત્મસમર્પણ કરવું પડ્યું. તમે છેલ્લો ઓર્ડર જોઈ લો. તમે કહ્યું હતું કે, એક ખરેખર ટ્રાન્જેક્શન થયુ હતું. જ્યાં ફિલ્મના પ્રોડક્શન માટે નાણાં પૂરા પાડવામાં આવ્યા હતા. કોર્ટે નોટિસ કર્યું કે તમે સેટલમેન્ટની શક્યતાઓ શોધી રહ્યા છો. મને આ મામલે હસ્તક્ષેપ કરવાનું કોઈ કારણ નજર નથી આવી રહ્યું. તમે મીડિએશન સેન્ટર ગયા અને ત્યાં ચૂકવણી કરવાનું વચન આપ્યું. તમને 25-30 તકો આપવામાં આવી હતી. હવે શું તમે આ કેસને રી-ઓપન કરવા માગો છો? તમે ચૂકવણી કરવામાં વિલંબ કેમ કર્યો, તેની જાણકારી આપવીપડશે. હું તમારી સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી શકું છું, પરંતુ કાયદો કાયદો છે.’
રાજપાલ યાદવના વકીલે કહ્યું કે, ‘અરજદારે 2.10 કરોડ જમા કરવાના છે. અમને ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને પબ્લિક તરફથી મદદ મળી રહી છે.’
હાઈકોર્ટ કહ્યું કે, ‘આનો કોઈ પણ બાબત સાથે શું સંબંધ છે? તમે 25 વાર કહ્યું છે કે આ લોન છે. જો તેઓ આ રકમ ચૂકવવા તૈયાર છે, તો અમે આગળ સુનાવણી ચાલુ રાખીશું.’
રાજપાલ યાદનના વકીલે કહ્યું કે, અમે કોર્ટમાં સિક્યોરિટી અમાઉન્ટ જમા કરાવવા તૈયાર છીએ. પરંતુ રાજપાલના પરિવારમાં લગ્ન છે, તેથી અમને જામીનની જરૂર છે.
આ મુશ્કેલ ઘડીમાં રાજપાલ યાદવને સેલેબ્સનો સાથ મળ્યો છે. આત્મસમર્પણ કરતા પહેલા રાજપાલે દિલ્હીની તિહાર જેલના અધિકારીઓ સમક્ષ પોતાની આર્થિક સ્થિતિને લઈને ભાવુક નિવેદન આપ્યું હતું. તેમણે ભાવુક થતાં જણાવ્યું હતું કે, ‘મારી પાસે પૈસા નથી અને કોઈ મિત્ર નથી જે મને મદદ કરી શકે. મારે આ પરિસ્થિતિનો સામનો જાતે જ કરવો પડશે.’ રાજપાલનું નિવેદન સમાચારમાં આવતાની સાથે જ કોમેડિયનની સ્થિતિ જોઈને ચાહકો અને સેલેબ્સનું દિલ પીગળી ગયું. ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી ઘણા સેલેબ્સ તેની મદદ માટે આગળ આવ્યા છે. અત્યાર સુધીમાં લગભગ 14 સેલિબ્રિટીઓએ કોમેડિયનને આર્થિક સપોર્ટ કર્યો છે.
આમાં સલમાન ખાન, અજય દેવગન, વરુણ ધવન, ડેવિડ ધવન, સોનુ સૂદ, તેજ પ્રતાપ યાદવ, રાવ ઈન્દ્રજીત સિંહ, ગુરુ રંધાવા, ગુરમીત ચૌધરી, કેઆરકે, મીકા સિંહનું નામ સામેલ છે. ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઇઝ (FWICE) એ લોકોને રાજપાલની મદદ માટે આગળ આવવા અપીલ કરી છે. આખી ઈન્ડસ્ટ્રી દ્વારા રાજપાલને આ મુશ્કેલ સમયમાં મદદ કરવા બદલ તેમની પત્ની રાધાએ તમામનો આભાર માન્યો છે.
આ સમગ્ર મામલો 2012માં આવેલી એક્ટરની ફિલ્મ “અતા પતા લપતા”ના કારણે શરૂ થયો હતો. આ ફિલ્મને રાજપાલ યાદવે ડાયરેક્ટ કરી હતી અને તેમની પત્ની પ્રોડ્યૂસર હતી. જોકે, રાજપાલના ડાયરેક્શનમાં બનેલી પહેલી ફિલ્મ ખૂબ જ ખરાબ રીતે ફ્લોપ ગઈ. ફિલ્મ બનાવવા માટે રાજપાલે 2010માં દિલ્હીના એક બિઝનેસમેન પાસેથી 5 કરોડની લોન લીધી હતી. ફિલ્મની નિષ્ફળતાને કારણે રાજપાલને ભારે નુકસાન થયું હતું.
એક્ટર આ લોન ચૂકવવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ 2018માં આ મામલાએ કાનૂની વળાંક લીધો. રાજપાલ અને તેમની પત્ની સામે કેસ દાખલ કરવામાં આવ્યો. વ્યાજ સહિત આ 5 કરોડ રૂપિયાની રકમ વધીને 9 કરોડ રૂપિયા થઈ ગઈ. આ કેસમાં એક્ટર અગાઉ પણ બે વાર જેલમાં સજા ભોગવી ચૂક્યો છે. અંતે, જ્યારે કોર્ટના અલ્ટીમેટમ પર તે પૈસા ચૂકવી ન શક્યો નહીં, ત્યારે તે આત્મસમર્પણ કરવા માટે મજબૂર થયો.


