આ ચર્ચામાં સહભાગી થતા મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલે વિભાગની સિદ્ધિઓનો ચિતાર રજૂ કર્યો હતો. મંત્રીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, જેઓ ‘શું બદલાયું’ તેમ પૂછે છે તેમને જણાવીએ કે કોંગ્રેસના શાસનમાં આંગણવાડીના ચોપડા ઉધઈ ખાતી હતી અને રાશન ક્યાં જતું તેની કોઈને ખબર નહોતી.

આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આંગણવાડી બહેનોના હાથમાં સ્માર્ટફોન અને ‘પોષણ ટ્રેકર’ છે, જેનાથી છેવાડાના બાળક સુધી મળતી સુવિધાઓનું રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. આજે ટેકનોલોજીના માધ્યમથી પારદર્શિતા છેવાડાના નાગરિકો સુધી પહોંચી છે. મંત્રીએ કોંગ્રેસના શાસનકાળની ટીકા કરતા જણાવ્યું કે, એક સમયે આંગણવાડી એટલે અંધારું ઓરડું અને યોજનાઓ માત્ર કાગળ પર રહી ભ્રષ્ટાચારના કૂવામાં હોમાઈ જતી હતી. પરંતુ આજે મુખ્યમંત્રીના નેતૃત્વમાં ગુજરાતની આંગણવાડીઓ ‘સ્માર્ટ’ બની છે, જ્યાં બાળકો સ્માર્ટ ટીવી અને નવીનતમ પદ્ધતિઓથી શિક્ષણ મેળવી રહ્યા છે.


