ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મોના થીબાએ એક ફિલ્મના પ્રમોશન દરમિયાન વેશ્યાવૃત્તિને લઈને નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં લોકોએ તેમની ખૂબ ટીકા કરી હતી. આ નિવેદન અંગે વિવાદ વકરતાં જ તેમણે ખુલાસો કર્યો હતો.
ગુજરાતી ફિલ્મની અભિનેત્રી મોના થીબાએ એક ફિલ્મના પ્રમોશન દરમિયાન વેશ્યાવૃત્તિને લઈને નિવેદન આપ્યું હતું. તેમના આ નિવેદન બાદ સોશિયલ મીડિયામાં લોકોએ તેમની ખૂબ ટીકા કરી હતી. આ નિવેદન અંગે વિવાદ વકરતાં જ તેમણે ખુલાસો કર્યો હતો. તેમણે વેશ્યાવૃત્તિને સમાજ સેવા ગણાવી હતી. હવે તેમણે કહ્યું હતું કે, મેં ફિલ્મની વાર્તાને લઈને ચર્ચા કરી હતી. મારો કોઈ ખોટો હેતુ નહોતો.

અભિનેત્રી મોના થીબાએ આપેલા વેશ્યાવૃત્તિના નિવેદન અંગે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, મેં ફિલ્મની વાર્તાના અનુસંધાને વાત કરી હતી. હું વેશ્યાવૃત્તિ કરતી મહિલાઓના સંપર્કમાં આવી હતી. આ મહિલાઓએ મને કહ્યું હતું કે, તેમના પુરૂષો કમાતા નથી. તેમના બાળકોનું પેટ ભરવાના પણ તેમની પાસે પૈસા નથી. તેમના પુરૂષો વ્યસની છે. ઘર કેવી રીતે ચલાવવું એક સવાલ છે. આ મહિલાઓએ મને કહ્યું હતું કે, તેઓ મજબૂરીમાં આ કામ કરે છે. મારી વાતને ખોટા અર્થમાં લેવામાં આવી છે.
મેં ફિલ્મના પ્રમોશન દરમિયાન વાત કરી હતી. હું આવી વાતનો સપોર્ટ નથી કરતી. કોઇની લાગણી દુભાઇ હોય તો માફી માંગું છુ. અમારી વાતો સંસ્કાર, સમાજ, સંસ્કૃતિની હોય છે. અભિનેત્રી મોના થીબાએ વેશ્યાવૃત્તીને સમાજ સેવા ગણાવી હતી. વેશ્યાવૃત્તિને કારણે જ દીકરીઓ સલામત છે એવું તેમણે નિવેદન આપ્યું હતું. વેશ્યાવૃત્તીથી બળાત્કારની ઘટનાઓ અટકે છે એવો તેમણે દાવો કર્યો હતો. તેમના આ પ્રકારના નિવેદન બાદ સોશિયલ મીડિયામાં તેમની ભારે ટીકા થઈ રહી છે. આખરે તેમણે આ નિવેદનને લઈને માફી માંગી છે.


