તા.૮ માર્ચના રોજ ગુજરાત ઠાકોર ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ૩૫મા સમૂહ લગ્નોત્સવ પ્રસંગમાં કલોલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ નવદંપતીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, ઠાકોર સમાજ અને સરકાર વચ્ચેનો હૃદયથી જોડાયેલો અતૂટ સંબંધ છે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ઠાકોર સમાજના યુવાનોનો વિકાસ અને મજબૂત નેતૃત્વ એ સરકારનું મુખ્ય ધ્યેય છે. તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનકાળથી શરૂ થયેલી વિકાસયાત્રા આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ‘રોકેટ ગતિએ’ આગળ વધી રહી છે, જે સમાજના સહયોગ અને આશીર્વાદનું પરિણામ છે.

ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને કિસાન સન્માન નિધિનો ઉલ્લેખ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, “ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ગંભીર બીમારીમાં સીધી મદદ મળે તેવા કાર્યો પહેલા માત્ર સપના સમાન હતા, જે આજે વાસ્તવિકતા બન્યા છે.” તેમણે અપીલ કરી હતી કે, છેવાડાનો કોઈ પણ પરિવાર આ યોજનાઓના લાભથી વંચિત ન રહી જાય તેની જવાબદારી સમાજના અગ્રણીઓની છે.
સામાજિક પરિવર્તન અને શિક્ષણ પર ભાર મુકતા મંત્રીએ દીકરાઓની માતાઓને ભાવુક વિનંતી કરતા જણાવ્યું કે, “આજે લગ્ન બાદ ઘરે પધારેલી ‘વહુ’ને પોતાની દીકરી માનીને આદર પ્રેમ આપજો.”સાથેજ ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર અને લક્ષ્મણજી ઠાકોરના પ્રયાસોથી સમાજ માટે નિર્માણ પામનાર શૈક્ષણિક ભવન અંગે તેમણે ખુશી વ્યક્ત કરી સૌને સામાજિક દૂષણો દૂર કરવા અને સરકારના સહયોગી બની સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા સંકલ્પ લેવડાવ્યા હતા. આ સમૂહ લગ્નોત્સવમાં ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશજી ઠાકોર, કલોલના ધારાસભ્ય લક્ષ્મણજી ઠાકોર, જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ, મુખ્ય યજમાન કાંતિજી ઠાકોર સહિત સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


