ગુજરાત સરકારે સ્થાવર મિલકતની તબદિલી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે. હવેથી કોઈપણ વ્યક્તિએ પોતાની સ્થાવર મિલકત વેચવી હશે કે ટ્રાન્સફર કરવી હશે, તો તેણે સૌથી પહેલા જિલ્લા કલેક્ટરને વિધિવત અરજી કરવાની રહેશે. આ નિર્ણયનો મુખ્ય હેતુ મિલકત હડપ કરી લેવાના બનાવો અટકાવવાનો અને સામાજિક સૌહાર્દ જાળવી રાખવાનો છે.
નવા નિયમો મુજબ, મિલકત તબદિલ કરનારે કલેક્ટર કચેરીમાં અરજી કર્યા બાદ, જો કોઈ પક્ષકારને આ સોદા સામે વાંધો હોય, તો તેઓ પોતે નારાજગી વ્યક્ત કરી શકશે અને વાંધો રજૂ કરી શકશે. કલેક્ટર બંને પક્ષોની દલીલો સાંભળશે અને ત્યારબાદ જ આખરી નિર્ણય લેશે. મિલકત ટ્રાન્સફરની અરજી મંજૂર કરવી કે નામંજૂર કરવી, તેની સંપૂર્ણ સત્તા હવે કલેક્ટર હસ્તક રહેશે.

આ સમગ્ર પ્રક્રિયામાં તપાસને વેગ આપવા અને તટસ્થતા જાળવવા માટે એક ‘ખાસ સલાહકાર સમિતિ’ ની રચના કરવામાં આવશે. આ સમિતિમાં એક અધ્યક્ષ અને અન્ય નિષ્ણાત સભ્યોનો સમાવેશ થશે. આ સમિતિ મિલકતની સ્થિતિ, સોદાની સત્યતા અને આસપાસના વિસ્તારની ભૌગોલિક સ્થિતિની તપાસ કરશે. સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલા વિગતવાર રિપોર્ટના આધારે જ કલેક્ટર મિલકત ટ્રાન્સફરનો આખરી નિર્ણય લેશે.
ઘણીવાર દબાણ હેઠળ કે છેતરપિંડીથી મિલકતો ટ્રાન્સફર કરાવી લેવામાં આવતી હોય છે. નવા નિયમોથી છેવાડાના માનવીની મિલકત સુરક્ષિત બનશે. ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારોમાં જનસંખ્યાનું સંતુલન જળવાઈ રહે અને કોઈને અન્યાય ન થાય તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હવેથી કલેક્ટરની મંજૂરી વિના કરવામાં આવેલી મિલકતની લે-વેચ કાયદેસર ગણાશે નહીં.


