હાલમાં ધાર્મિક વિધિના બહાને ઠગ વ્યક્તિઓ નિર્દોેષ લોકોને છેતરી લાખો રૃપિયા પડાવી રહ્યા છે ત્યારે કલોલ શહેરમાં ધાર્મિક વિધિના નામે છેતરપિંડીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં બે મહિલાઓને વિશ્વાસમાં લઈ ઠગ ટોળકી ૨૭ લાખની કિંમતના સોનાના દાગીના તફડાવીને ફરાર થઈ ગઈ છે. જે મામલે હાલ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલના ન્યુ પંચવટી વિસ્તારમાં રહેતા જશીબેન પટેલના પુત્રવધૂને લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી તકલીફ હતી. આ બીમારી દૂર કરવા માટે તેમણે મહેસાણાના જોટાણાના દેવીનાપુરા ગામના ભીખાભાઈ સેનમાનો સંપર્ક કર્યો હતો. ભીખાભાઈએ વિધિ કરવાના નામે અગાઉ હજારો રૃપિયા પડાવ્યા હતા અને બાદમાં વધુ સારી વિધિ કરાવવા માટે મહેસાણાની સુસિલાબેન રાજુભાઈ સેનમાની ઓળખાણ કરાવી હતી. સુસિલાબેને જશીબેન અને તેમના પાડોશી સવિતાબેનને વિશ્વાસમાં લઈ ધાર્મિક વિધિના બહાને દાગીના પડાવવાનું કાવતરું રચ્યું હતું. આ બંને મહિલાઓને સોનાના દાગીના કાપડની પોટલીઓમાં અનાજ સાથે મૂકવા જણાવ્યું હતું. વિધિ દરમિયાન મહિલાઓને રસોડામાં હળદર-કંકુ લેવા મોકલી, પાછું વળીને ન જોવાની શરત મૂકી સુસિલાબેને પોટલીમાંથી અસલી દાગીના કાઢી લીધા હતા. ઠગ મહિલાએ જશીબેનને ડરાવ્યા હતા કે, જો આ પોટલી છ માસ સુધી ખોલશો તો ઘરમાં વિઘ્ન આવશે. જોકે, કબાટમાં રાખેલી પોટલીઓમાં જીવાત પડતા જશીબેને તેને ખોલીને જોયું તો અંદરથી દાગીના ગાયબ હતા. તપાસ કરતા જાણવા મળ્યું કે પાડોશમાં રહેતા સવિતાબેન સાથે પણ આ જ પ્રકારે ઠગાઈ થઈ હતી. જેથી બંનેની સાથે ૨૭ લાખ રૃપિયાના ૧૯ દાગીનાની છેતરપિંડી થઈ હોવાનું જણાયું હતું આ સમગ્ર મામલે કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં સુસિલાબેન રાજુભાઈ સેનમા અને ભીખાભાઈ સેનમા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


