ભરૂચ અને અંકલેશ્વરમાં એસ.ઓ.જી તથા એલ.સી.બીની ટીમે સંયુકત ઓપરેશન હાથ ધરી 14 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડયાં છે. આમાંથી મોટાભાગના પશ્ચિમ બંગાળથી સરહદ પાર કરીને ભારતમાં અને ત્યારબાદ અલગ અલગ રાજયોમાં થઇને ભરૂચ જિલ્લામાં સ્થાયી થયા હતાં.
અમુક નાગરિકો 30 વર્ષથી જયારે અમુક 5 વર્ષ ઉપરાંતથી ભરૂચમાં રહેતાં હોવાની વિગતો સામે આવી છે. મોટાભાગના માછીમારી તથા ટાઇલ્સ કટિંગના વ્યવસાય સાથે સંકળાયેલાં છે. એલસીબી અને એસ.ઓ.જીની ટીમે ભરૂચ અને અંકલેશ્વરમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. જેમાં એલ.સી.બી અને એસ.ઓ.જીના 3-3 પોલીસ અધિકારીઓ અને 15થી વધુ જવાનોનો સ્ટાફ જોડાયો હતો. જેમણે 14 બાંગ્લાદેશી નાગરિકોને ઝડપી પાડ્યાં હતાં. આ નાગરિકોની તપાસ દરમિયાન ભારતીય તેમજ બાંગ્લાદેશી દસ્તાવેજો મળ્યા છે. આ તમામ નાગરિકોની પૂછપરછ બાદ તેમને તપાસ એજન્સીઓને ભરૂચ પોલીસે સોંપી દીધાં છે.
કેતન મહેતા, ભરૂચ/અંકલેશ્વર