અંકલેશ્વર શહેરના ભરૂચીનાકા વિસ્તારમાં આવેલા પારસીવાડમાં એક બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ₹19.80 લાખની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા મઝુમ રૂસ્તમજી વીમા દલાલના ‘મહેર મેન્શન’ મકાનમાં આ ચોરી તે સમયે થઈ જ્યારે તેઓ પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગે પુના ગયા હતા.
તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડવાને બદલે ડુપ્લિકેટ ચાવીનો ઉપયોગ કરી અંદર પ્રવેશ કર્યો હતો.

તસ્કરો ઘરમાંથી ₹16.80 લાખની કિંમતના 14 તોલા સોનાના પ્રાચીન અને પૂર્વજોના સમયના કિંમતી દાગીના તેમજ ₹3 લાખની રોકડ રકમ મળી કુલ ₹19.80 લાખનો મુદ્દામાલ ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.
ચોરીની જાણ થતા જ શહેર પી.આઈ, એલસીબી (LCB) સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મકાનનો દરવાજો તોડ્યા વિના માત્ર ચાવીથી ખોલીને થયેલી આ ચોરીમાં કોઈ નજીકના જાણભેદુ વ્યક્તિનો હાથ હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલ (FSL) ની મદદથી ફિંગરપ્રિન્ટ્સ મેળવી તસ્કરોનું પગેરું દબાવવા ચક્રો ગતિમાન કર્યા છે.


