અમદાવાદમાં ૧૨ જૂનના રોજ બનેલી કરુણ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા ખેડા જિલ્લાના ત્રણ દંપતીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. નડિયાદ, મહુધા અને મહેમદાબાદમાં અંતિમ સંસ્કાર દરમિયાન ધારાસભ્યો, જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. શ્રદ્ધાંજલિ અર્પણ કરાયેલા દંપતીમાં વસોના રજનીકાંત ચીમનભાઈ દરજી અને પુષ્પાબેન દરજી, નડિયાદના મહાદેવ તુકારામ પવાર અને આશાબેન પવાર, અને મહુધાના પ્રવીણકુમાર ચીમનભાઇ પટેલ અને રંજનબેન પ્રવીણકુમાર પટેલ શામેલ છે. એ સિવાય વણસોલીના ચિરાગ પટેલને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. ધારાસભ્યો, કલેક્ટર, પોલીસ અધિક્ષક અને જિલ્લા વિકાસ અધિકારીએ પરિવારોને સાથ અને સંવેદના પાઠવી હતી. અત્યાર સુધીમાં કુલ ૧૨ પાર્થિવ દેહ પરિવારને હવાલે કરાયા છે, જયારે બાકીના મૃતકોની ઓળખ ચાલુ છે.

reporter : નરેશ ગનવાણી નડિયાદ