E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : અમરેલીમાં IVF ટેકનોલોજી દ્વારા રાજયની પ્રથમ ગીર વાછરડીનો સફળ જન્મ........

Gujarat : અમરેલીમાં IVF ટેકનોલોજી દ્વારા રાજયની પ્રથમ ગીર વાછરડીનો સફળ જન્મ……..

અમરેલી ખાતે સ્થિત ગુજરાત પશુધન વિકાસ બોર્ડ (GLDB) હસ્તકની એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) જેવી અત્યંત આધુનિક પદ્ધતિથી રાજ્યમાં પ્રથમવાર ગીર ઓલાદની વાછરડીનો સફળ જન્મ થયો છે. આ સિદ્ધિ માત્ર એક પ્રયોગ નહીં, પરંતુ ગુજરાતના પશુપાલકો માટે આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલનારી એક વૈજ્ઞાનિક ક્રાંતિ છે.

ગુજરાતના પશુપાલકોને પશુ સંવર્ધનની આ આધુનિક ટેકનોલોજીનો વ્યાપક લાભ મળી રહે તે હેતુથી, રાજ્યના ગૌરવ સમાન ગીર ગાયના બ્રીડિંગ ટ્રેક્ટ વિસ્તારમાં આવતા વિવિધ જિલ્લાઓ પૈકી અમરેલી ખાતે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરીની સ્થાપના કરવામાં આવી હતી. આ સંદર્ભે પશુપાલન મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, અમરેલીના વરુડી ખાતે સ્થિત આ લેબોરેટરીમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)ના તકનીકી (Technical) સહયોગથી ગત વર્ષે પ્રાથમિક તબક્કામાં કુલ ૧૩ રેસિપિયન્ટ પશુઓમાં IVF ટેક્નોલોજી દ્વારા ભ્રૂણ પ્રત્યારોપણની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

આ પ્રોજેક્ટની સૌથી વિશેષ બાબત એ છે કે, આધુનિક ભ્રૂણ પ્રત્યારોપણ પદ્ધતિ દ્વારા તાજેતરમાં જ કાંકરેજ ઓલાદની રેસિપિયન્ટ (ભાડૂતી) ગાયના ગર્ભમાંથી શુદ્ધ ગીર ઓલાદની વાછરડીનો જન્મ થયો છે. આ પ્રક્રિયામાં ઉચ્ચ આનુવંશિક ક્ષમતા ધરાવતી ગીર ગાયના ભ્રૂણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના પરિણામે જન્મેલું બચ્ચું પણ ડોનર પશુ જેવા જ ઉત્તમ ગુણો ધરાવે છે. ગુજરાતના પશુપાલન વિભાગની આ સફળતાને વેગ આપવા માટે આગામી સમયમાં અમરેલી ખાતે સ્થિત એમ્બ્રિયો ટ્રાન્સફર લેબોરેટરી ખાતે ઉપલબ્ધ વધુ ૩૦ જેટલા રેસિપિયન્ટ પશુઓમાં ભ્રૂણ પ્રત્યારોપણની કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રયાસોથી રાજ્યમાં ગીર ગાયના સંવર્ધનને એક નવી દિશા મળશે અને ગુજરાત શ્વેત ક્રાંતિમાં ફરી એકવાર અગ્રેસર બનશે.

સામાન્ય રીતે ઉચ્ચ આનુવંશિક ક્ષમતા ધરાવતા માદા પશુઓ કુદરતી રીતે સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર ૭ થી ૮ જેટલા બચ્ચાઓને જન્મ આપે છે, પરંતુ IVF જેવી અદ્યતન ટેકનોલોજીએ આ મર્યાદાને તોડીને પ્રક્રિયાને અનેકગણી ઝડપી બનાવી છે. IVF પદ્ધતિમાં ઉચ્ચ ગુણવત્તાવાળા પશુઓને ડોનર પશુ તરીકે પસંદ કરીને અંડકોષ મેળવવામાં આવે છે અને લેબોરેટરીમાં તેનું ફલન કરવામાં આવે છે. ફલન બાદ તૈયાર થયેલા એમ્બ્રિયોને (ભ્રૂણને) ઓછી અથવા સામાન્ય ઉત્પાદકતા ધરાવતી ‘રેસિપિયન્ટ’ (સરોગેટ) ગાયમાં પ્રત્યારોપિત કરવામાં આવે છે.

આ IVF ટેકનોલોજી દ્વારા જન્મ લેતા બચ્ચાઓ પણ ડોનર પશુ જેવા ઉત્તમ આનુવંશિક લક્ષણો ધરાવતા હોય છે. આથી, ઉચ્ચ આનુવંશિક ક્ષમતા ધરાવતા પશુમાંથી સમગ્ર જીવનકાળ દરમિયાન માત્ર ૭ બચ્ચાના સ્થાને ૧૦૦ જેટલા ગુણવત્તાવાળા બચ્ચાઓ પ્રાપ્ત કરી શકાય છે. આ પદ્ધતિના વ્યાપક ઉપયોગથી રાજ્યમાં ઉચ્ચ ગુણવત્તા ધરાવતા પશુઓની સંખ્યામાં વધારો થશે, જેના પરિણામે રાજ્યની દૂધ ઉત્પાદન ક્ષમતામાં પણ નોંધપાત્ર વધારો થશે, જે સીધી રીતે પશુપાલકોની આર્થિક સ્થિતિ મજબૂત કરશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments