એનએફએસએ હેઠળ સરકારી અનાજ મેળવતા રેશનકાર્ડ ધારકો માટે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) યોજના અમલમાં મૂકવામાં આવી છે પરંતુ તેના અમલ માટે દુકાનદારોને એક પણ વધારાનું વળતર નહી ચૂકવતા રાજ્યભરના દુકાનદારોમાં વ્યાપક વિરોધ થયો છે અને સરકારની આ કામગીરી નહી કરવા એસોસિએશન દ્વારા દુકાનદારોને જણાવાયું છે.
રેશનિંગ દુકાનમાંથી અનાજ મેળવતા ગ્રાહકોને કેટલું અનાજ મળશે અથવા મળી રહ્યું છે તેની વિસ્તૃત જાણકારી માટે અગાઉ ઇ કેવાયસી પ્રક્રિયા બાદ હવે રાજ્ય સરકાર નવી સિસ્ટમ સીબીડીસી અમલમાં લાવી છે. પંજાબ નેશનલ બેંક સાથે જોડાણ કરી રાજ્યના લાખો લાભાર્થીઓને નવી નોંધણી માટે હવે દોડાદોડી કરવાનો વારો આવ્યો છે.
મહત્વની બાબત એ છે કે સીબીડીસી માટે લાભાર્થીઓને ઓનબોર્ડિંગ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ કામ કરતા વીસીઇ (બિઝનેશ કોરસસ્પોન્ડન્ટ) માટે પૈસા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એક રેશનકાર્ડની નોંધણી માટે રૂ.20 ચૂકવવામાં આવશે જ્યારે રેશનિંગ દુકાનદારોને પણ આ કામગીરી કરવા માટે જણાવાયું છે પરંતુ તેના માટે કોઇ રકમ નહી ચૂકવવામાં આવે તેમ સ્પષ્ટ કરતા રાજ્યભરના રેશનિંગ દુકાનદારોમાં વિરોધ ઊભો થયો છે.

રાજ્યના બે મોટા એસોસિએશને દરેક જિલ્લાના એસોસિએશનના પ્રમુખને સરકારની આ કામગીરી નહી કરવા માટે સ્પષ્ટ જણાવી દેવાયું છે. રાજ્યભરમાં 17 હજાર જેટલી રેશનિંગ દુકાનોના સંચાલકોએ આ મુદ્દે સરકાર સામે બાંયો ચડાવી છે અને આગામી દિવસોમાં સરકારને ઉગ્ર રજૂઆત કરવાનુ નક્કી કરવામાં આવ્યું છે. એકને ગોળ બીજાને ખોળ જેવી સરકારી નીતિનો વિરોધ દિવસે દિવસે વધતો જાય છે. ખરેખર રેશનિંગ દુકાનદારોને પ્રોત્સાહન આપવાના બદલે તેમની પાસે જબરજસ્તી કામ કરાવવામાં આવતા તે અંગે રોષ ફાટી નીકળ્યો છે.
ટકેન્દ્ર સરકારના સહયોગથી સીબીડીસી યોજનાને પ્રારંભિક તબક્કામાં પાયલટ પ્રોજેક્ટ અમદાવાદના સાબરમતી ઝોનમાં તેમજ સુરત, આણંદ અને વલસાડ જિલ્લાઓના શહેરી વિસ્તારોમાં અમલીકરણ કરેલ છે. આ પ્રોજેક્ટનું ઉદ્ધાટન તા.15 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું અને હવે સમગ્ર રાજ્યમાં તેનો અમલ કરવા માટે ઓનબોર્ડિંગ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે.
રેશનકાર્ડ ધારકોના ઇ-કેવાયસી માટે અગાઉ વીસીઇને પણ રૂ.5 આપવામાં આવ્યા હતાં તેવી જ રીતે રેશનિંગ દુકાનના સંચાલકોને પણ કોઇ વળતર ચૂકવવામાં નહી આવતા વિરોધ થયો હતો. આખરે સરકારે દુકાનદારોને પણ રૂ.5 આપવાનો વાયદો કર્યો હતો પરંતુ હજી સુધી રેશનિંગ દુકાનના સંચાલકોને રકમ મળી નથી આ અંગે પણ દુકાનદારોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો છે.
સીબીડીસી કામગીરી માટે પુરવઠાખાતાના અધિકારીઓ દ્વારા રેશનિંગ દુકાનદારો પર દબાણ કરી રોજ 20 રેશનકાર્ડની કામગીરી કરવાની છે તેમ જણાવવવામાં આવે છે. સંબંધમાં અથવા ધાકધમકીથી બચવા માટે કેટલાક દુકાનદારો કોઇપણ વળતર વગર કામ કરવા લાગ્યા છે પરંતુ મોટા ભાગના દુકાનદારોમાં રોષ ફેલાયો છે.


