નડિયાદ: ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટ્સ કોલેજ, નડિયાદ ખાતે આચાર્ય પ્રો. ડો. મહેન્દ્રકુમાર દવેની પ્રેરણાથી વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. ‘ઓપરેશન સિંદૂર’ના સંદર્ભમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલામાં શહીદ થયેલ નિર્દોષો માટે શ્રદ્ધાંજલિ રૂપે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ પ્રસંગે આચાર્યએ માતૃભૂિ, પર્યાવરણ અને સૈનિકો અંગેના મહત્વ પર ભાર આપતાં જણાવ્યું હતું કે, “દરેક નાગરિકે વૃક્ષારોપણ કરીને સમાજ અને દેશ પ્રત્યે પોતાની ફરજ નિભાવવી જોઈએ.” તેમણે કોલેજ કેમ્પસ તેમજ પોતાના ગામમાં પણ વૃક્ષારોપણ કરવા માટે પ્રેરણા આપી.
આ કાર્યક્રમ દરમિયાન આચાર્યના હસ્તે સિંદુર અને નાળિયેરીના વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું. એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. કલ્પનાબેન ત્રિવેદી અને ડો. પ્રકાશભાઈ વિછીયા તથા કોલેજના શિક્ષકગણ અને સ્વયંસેવકોની સહભાગિતાથી મોગરો, કદમ, જાસૂદ, આફ્રિકન ટ્રી, તુલસી, બદામ સહિત વિવિધ છોડનું રોપણ કરવામાં આવ્યું અને જળસિંચન પણ કરાયું.
Reporter : નરેશ ગનવાણી નડિયાદ