સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતે પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ, ગુજરાત મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી..

ખેડબ્રહ્માના ભેમરા (ખેડબ્રહ્મા હિલ) ખાતે મંત્રીશ્રી મુળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં ૧૧૧૧ રોપાઓનું વાવેતર કરીને અરવલ્લી હરિત દીવાલનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ ખેડબ્રહ્મા તાલીમ કેન્દ્ર ખાતે એક પેડ મા કે નામ ૨.૦ નો શુભારંભ અવસરે ૧.૦૦ હેક્ટર જમીનમાં નિર્માણાધીન વન કવચમાં કુલ ૧૦,૦૦૦ રોપાઓનું વાવેતર કરી તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન સ્તરીય જાતિના રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું. આ સાથે માતૃવન-વનકવચ-મિયાવાકી ફોરેસ્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ સાથે ઓપેરેશન સિંદુરના સ્મૃતિરૂપે સિંદુરના ૫૦૦ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મંત્રીશ્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતુ કે ૫ મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ આ વર્ષે “Ending Plastic Pollution” ની થીમ પર ઉજવણી કરવામાં આવી રહી છે.જેનો ઉદ્દેશ પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવું,પ્લાસ્ટિકનો પુનઃઉપયોગ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવાની સાથે ટકાઉ વિકલ્પો અપનાવવા અને પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશમાં ફેરફાર લાવવાનો છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ પૃથ્વીમાતાને હરિયાળા વૃક્ષોથી આચ્છાદિત કરીને પર્યાવરણ જાળવણી અને આપણી જીવનદાત્રી માતાની સ્મૃતિ જોડવાની પ્રેરણા સાથે“એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ અભિયાનની દેશવ્યાપી શરૂઆત કરાવી છે.વડાપ્રધાનશ્રીએ મિશન લાઈફ અંતર્ગત વ્યક્તિગત અને સામૂહિક પ્રયાસો દ્વારા જીવન શૈલીમાં બદલાવ લાવી પર્યાવરણનું સંરક્ષણ કરી શકાય તેવો એક નવો માર્ગ વિશ્વને ચિંધી બતાવ્યો.આ સાથે એક વૃક્ષ લગાડી, પ્લાસ્ટિકનો ત્યાગ કરી સ્વચ્છ ઉર્જા તરફ આગળ વધી પ્રદૂષણ મુક્ત ભવિષ્ય માટે અનુરોધ કર્યો હતો. દરેક નાગરીક પર્યાવરણને બચાવવાની જવાબદારી સમજીને માત્ર એક દિવસ નહીં, પરંતુ દરરોજ ધરતીને હરિયાળી, શૂદ્ધ અને સંવેદનશીલ બનાવા પ્રયત્નશીલ બનાવા પર ભાર મુક્યો હતો. આ કાર્યક્રમમાં હેડ ઓફ ધી ફોરેસ્ટના અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી એ.પી.સીંગે જણાવ્યુ હતુ કે આજે એક પેડ માં કે નામ ૨.૦ નો શુભારંભ,માતૃવન-વનકવચ-મિયાવાકી ફોરેસ્ટનો શુભારંભ તેમજ અરવલ્લી હરીત દિવાલનો શુભારંભ કરવામાં આવ્યો છે. પૃથ્વી આપણું ઘર છે, તેને સાચવવી આપણું કર્તવ્ય છે.વૃક્ષો વાવી, પાણી બચાવીને સૌને પર્યાવરણની જાળવણીની ફરજ બજાવવા તેમજ વડાપ્રધાન શ્રીના પ્લાસ્ટિક મુક્ત ભારતના આહવાન સ્વીકારી પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી.આ કાર્યક્રમ દરમિયાન મંત્રીશ્રીએ પ્લાસ્ટિક એકત્રિકરણનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ વૃક્ષારોપણ કર્યુ હતુ. આ કાર્યક્રમમાં અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી વિકાસ અને વ્યવસ્થાકશ્રી સી.કે સોનવણે, ગાંધીનગર વન વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રી રાજ સંદિપ, ઇન્ચાર્જ કલેકટરશ્રી હર્ષદ વોરા,નાયબ વન સંરક્ષકશ્રી ડૉ.ડી એફ ગઢવી, નાયબ વન સંરક્ષકશ્રી પી જે ચૌધરી, અગ્રણીશ્રી કનુભાઈ પટેલ, અગ્રણી શ્રી લુકેશભાઈ સોલંકી સહિત પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા